ઉદ્ધવ ગીત (૧) – વીરુ પુરોહિત

અમે ગોપીઓ એકબીજાનું ભૂલી ગયાં રે નામ !

શ્યામ સિધાવ્યા, ઉદ્ધવજી !

તે દહાડાથી છે ગોકુળ આખ્ખું વદન વિનાનું ગામ !

 .

‘નથી જવું જલ જમુના’ કરતાં, સૂરજ આવે માથે;

તરફડતાં, તરસ્યાં પક્ષીગણ ચકરાવ્યાં છે સાથે !

દંતકથાની શાપિત પૂતળી જેમ જડાયાં દ્વારે;

કૃષ્ણ નથી, તો કોણ મંત્રપૂત જલ છાંતીને તારે ?

કાલીંદીનો તટ બન્યો છે નાગણિયુંનું ધામ !

શ્યામ સિધાવ્યા, ઉદ્ધવજી !

તે દહાડાથી છે ગોકુળ આખ્ખું વદન વિનાનું ગામ !

 .

ના ઘોળાવ્યાં વસંતના મઘમઘતાં ફૂલ નાવણમાં;

કોરાંકટ રહી ગયાં અમે તો ફાટફાટ ફાગણમાં !

મોર-બપૈયા-ચાતક પણ ચોમાસે મૂંગાં ઊભે;

ભીની કળી ચંબેલીની ગાલે કંટક શી ચૂભે !

સ્તબ્ધ જીવ, નિશ્વાસો, ખુલ્લી પાંપણ આઠે યામ !

અમે ગોપીઓ એકબીજાનું ભૂલી ગયાં રે નામ !

શ્યામ સિધાવ્યા, ઉદ્ધવજી !

તે દહાડાથી છે ગોકુળ આખ્ખું વદન વિનાનું ગામ !

 .

( વીરુ પુરોહિત )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.