ઉદ્ધવ ગીત (૨) – વીરુ પુરોહિત

ઘણું ભોગવ્યું તમે, કૃષ્ણના સાન્નિધ્યે, સદ્દભાગ્ય !

પરત કરી દો, ઉદ્ધવજી ! સહુ ગોપીનું સોભાગ્ય !

 .

સૂતી હોય સિંહણ તો, ઉદ્ધવ ! ઘણી મનોહર લાગે;

પણ જો ત્રાડે, વૃક્ષો સઘળાં થથરી પર્ણો ત્યાગે !

શાંત સરિતા ખળખળ વહેતી સંગીત મધુર સુણાવે;

વીફરે તો વચ્ચે આવેલા પહાડોને ય તણાવે !

 .

કરગરીએ, વીનવીએ તો શું માનો છો નિર્માલ્ય ? !

પરત કરી દો, ઉદ્ધવજી ! સહુ ગોપીનું સૌભાગ્ય !

 .

ધીરજ અમારી ખૂટી તો મથુરાને દઈશું રોળી;

ચપટીમાં જ્યમ કોઈ તૃણ ઝકડીને નાખે ચોળી !

પાપ તમારાં શિરે, લાગશે ભાલે કાળી ટીલી;

કહો, જીવીએ ક્યાં લગ નિજનાં આંસુ ઝીલી ઝીલી ?

 .

શ્યામ વિના જે કૈં છે જગમાં, અમને શિવનિર્માલ્ય !

ઘણું ભોગવ્યું તમે, કૃષ્ણના સાન્નિધ્યે, સદ્દભાગ્ય !

પરત કરી દો, ઉદ્ધવજી ! સહુ ગોપીનું સોભાગ્ય !

 .

( વીરુ પુરોહિત )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.