શહેરથી દૂર દૂર પહાડની ટોચ પર એક નાની અમથી બંગલી છે. એ બંગલીમાં એક નાનકડો ખંડ છે. ઝરૂખામાં જરાક બહાર નજર પડે છે તો વનશ્રીની નરી આભા અને શોભા છે. એક ઝરણું જાણે કે અનાદિ કાળથી વહેતું હોય એમ સતત વહ્યા કરે છે. ઘડીકમાં ચિક્કાર વરસાદ વરસી જાય છે. થોડીક ક્ષણોમાં થંભી જાય છે. ઘડીકમાં ધુમ્મસ , ઘડીકમાં તડકો. તને શોધવાની જરૂર જ ક્યાં છે ? તું તો અહીં હાજરાહજૂર છે તારી પ્રકૃતિનાં વિવિધ સ્વરૂપે. વિભૂતિ-દર્શન-યોગ માત્ર તારી ગીતામાં જ નથી. પ્રત્યેક પળે તારી પ્રકૃતિનો સાક્ષાત્કાર એ જ તારું વિભૂતિ-દર્શન.
.
મને ઘણી વાર થાય છે કે તેં આ સૃષ્ટિ રચી શા માટે ? જો આ સૃષ્ટિ રચી તો તેં મનુષ્યને શું કામ રચ્યો ? એક બાજુ પશુ ને બીજી બાજુ તારા દેવદૂત-આ બન્નેની વચ્ચે એના ભાગે અને એના ભાગ્યે તો ભીંસાવાનું જ રહ્યું. મનુષ્ય સર્જ્યો અને યાતના આપી. મને બતાવ કે તારા જગતમાં નિતા6ત સુખી કોણ છે ? તો શું દુ:ખ શું છે એનો પરિચય કરાવવા જ તેં મનુષ્યનું સર્જન કર્યું ? સુખ તો માણસે પોતે શોધી લેવાનું અને દુ:ખ તો પૂર્વજન્મનાં કર્મનું પરિણામ છે-આ બધી વાતો સુફિયાણી લાગે છે. તું જો માનવનો પિતા, માતા, બંધુ કે સખા હોય-તો મનુષ્યના દુ:ખની જવાબદારી તારે લેવી જોઈએ અને તારે જ એનું નિરાકરણ કરવું જોઈએ.
.
( સુરેશ દલાલ )