એક મલપતી સાંજે
ઓફિસેથી ઘરે પાછો ફર્યો ત્યારે
મારી દીકરીને
કેનવાસ પર
ફક્ત છત અને ભીંતોવાળું
એક ઘર ચિતરતી જોઈને
મેં કહ્યું, બેટા,
‘તારા આ ઘરમાં બારી ક્યાં છે ?’
અને તેણે હસતા હસતા હાથની પીંછીને
તે જ ઘડીએ એક બાજુ હડસેલી દીધી.
અને પછી મારો હાથ જાલી
મને ફળિયામાં ખેંચી લાવે, બોલી,
‘ડેડી,
તમને અહીં ક્યાંય
વૃક્ષ, પંખી કે પછી આકાશ
નજરે ચઢે છે ખરું ?’
મેં ડોકું ધુણાવીને ‘ના’ નો સંકેત કર્યો !
એટલે તે ફરીથી બોલી,
‘ડેડી,
મહેરબાની કરીને
હવે ક્યારેય
મને પૂછશો નહીં
કે મેં ચિત્તરમાં
બારી કેમ નથી મૂકી ?
નહીંતર
બિચારી આ ભીંતો
ડૂસકે ચઢી જશે !’
.
( પ્રીતમ લખલાણી )