લઘુકાવ્યો – કરસનદાસ લુહાર

(૧)

રણ ફેલાતું ફેલાતું

ફળિયા સુધી આવી ગયું

ને તું

હજી તુલસી ક્યારો

સીંચે છે ?!

.

(૨)

ચરોતર,

હું તારી છાતી પર

ઊગેલો

તમાકુનો કોઈ છોડ તો નથીને ?!

.

(૩)

આમ તો

ખુલ્લા હશે

ને આમ મીંચાઈ જશે,

ચક્ષુ એનાં એ હશે

ને સ્વપ્ન બદલાઈ જશે !

.

(૪)

આભ ઊંચી

જૂની મહલ હવેલીમાં

અમાસ અને પૂનમ

સાથે જ

રહે છે !

.

(૫)

અમાસની ઉદર-ત્વચાનો

ભીનોભીનો ઝળહળાટ

મેં આકંઠ પીધો છે !

.

(૬)

પૂનમ અને અમાસ

ક્યારેક સાથે

ફરવા નીકળે છે ને

રસ્તો

શ્વેત-શ્યામ વસ્ત્રો

પહેરી લે છે !

.

(૭)

ફુલ્લ સ્પિડથી

મોટરસાયકલ

ચલાવી રહ્યો છે અંધકાર

અને એની પાછળ બેસીને

પૂનમ ફરવા નીકળીછે !

.

(૮)

વતનના ગામમાં

વેચી નાખેલું મારું મકાન

એક રાત્રે

સ્વપ્નમાં આવ્યું.

મેં પૂછ્યું ‘કેમ છે ?’

તો કહે : ‘એ તો ખબર નથી,

પણ આપણી પાછળનું

પેલું માથાભારે ખંડેર

હવે મહેલ થઈ ગયું છે !’

.

( કરસનદાસ લુહાર )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.