.
આજે અચાનક કાળિયા કુંભારનું ગધેડું
મારા આંગણામાં આવ્યું.
એને જોતાંજ હું બોલી ઊઠ્યો :
અરે ! તું ક્યાંથી અહીં ?
પછી હું એની કોટે વળગી પડ્યો
પછી મેં એના કાન ઝાલી લીધા
પછી મેં એનું માથું હળવેથી ઊંચું કરી
એની આંખમાં આંખ પરોવી જોયું
એમાં એ જે રસ્તા પર થઈને ચાલતું હતું
એ વીરપુરનો રસ્તો દેખાયો
એ રસ્તા પરની આંબાવાડી દેખાઈ
એમાં હડમતિયા હનુમાન પણ દેખાયા
એ પર્વતને ખભે બેસાડીને જઈ રહ્યા હતા
એમણે મને હાથ ઊંચો કર્યો,
મેં પણ.
એમાં નવ ગજા પીર દેખાયા
એ આરામખુરશીમાં
હોકો લઈને બેઠા હતા
મેં એમને પૂછ્યું:
ચલમ ભરી આપું કે ?
એમણે મરકતાં ના પાડેલી.
એમાં મને પેલું ગરનાળું દેખાયું
એની નીચે થઈને જતો એક વાઘ જોયેલો મેં
એ વાઘ પણ મને ફરી એક વાર દેખાયો.
મને થયું :અરે આ ગધેડું કેટલું બધું લઈને આવ્યું છે મારી પાસે.
મારે એને પૂજવું જોઈએ.
હું દોડતોક ઘરમાં ગયો
અને પૂજાની થાળી લઈને બહાર આવ્યો.
જોઉં છું મારા ગધેડાનું માથું એક બાજુ અને ધડ બીજી બાજુ
હું કશુંક બબડ્યો ને એ સાથે જ
મારી આંખ ઊઘડી ગઈ
હું દોડતોજ ગયો મારા આંગણામાં
ત્યાં એક સસલું કૂદાકૂદ કરી રહ્યું હતું
એના કાન પેલા ગધેડના કાનની જેમ ઊભા હતા.
હું એની સામે જોઈ મલકતો ઘરમાં પાછો આવ્યો.
.
( બાબુ સુથાર )