નિષ્ફળ મહાભિનિષ્ક્રમણની ગઝલ – રિષભ મહેતા

મને સૂર્ય ખૂબ જ કરગર્યો; બસ તે પછી હું ઘરે ગયો

પડછાયો મુજમાંથી ખર્યો; બસ તે પછી હું ઘરે ગયો…

.

નહીં રાહ જેવું કશું મળ્યું; હર ડગલું મારું મને નડ્યું

હર ગલીએ હરપળ છેતર્યો; બસ તે પછી હું ઘરે ગયો…

.

કોઈ રાહ જોઈ ઊઠી ગયું; કોઈ નામ મારું ભૂંસી ગયું

મને કોઈએ નહીં સંઘર્યો; બસ તે પછી હું ઘરે ગયો…

.

સૂમસામ એ ફળિયું હતું; એક જાગતું નળિયું હતું

જીવ બાળી બાળી દીવો ઠર્યો; બસ તે પછી હું ઘરે ગયો…

.

હું હતો જ ક્યાં તને શું કહું ? નહીં ઓળખાયો મને જ હું !

હું સ્વયં સ્વયંથી બહુ ડર્યો; બસ તે પછી હું ઘરે ગયો…

.

નહીં હું કશુંય ત્યજી શકું; નહીં અન્યને હું ભજી શકું

મને બુદ્ધ ગૌતમ સાંભર્યો; બસ તે પછી હું ઘરે ગયો…!!

.

( રિષભ મહેતા )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.