અમને છાંડી, એક દિવસ, ઉદ્ધવજી !
જો જો, માધવ બહુ પસ્તાશે !
.
સાત અશ્વનો રથ, પણ સૂરજ થાકે ચાર પ્રહરમાં;
દશે દિશામાં સૂસવી, બંદી થાય પવન ગહવરમાં !
છો કહેવાતો એ રત્નાકર, છો કૌસ્તુભ હૃદયે ઝગે;
છો દર્પ ધરે ઊંચા કુળનું, છો ગરજે વા છો ચગે !
.
અઢળક નદીઓનો સ્વામી છે છતાંય
ઉદધિ સૂનમૂન થઈ જાય અમાસે !
અમને છાંડી, એક દિવસ, ઉદ્ધવજી !
જો જો, માધવ બહુ પસ્તાશે !
.
છે પ્રેમ વિના માનવીનું સંવિદ, ચાપ વિનાનું બાણ;
જલ વિણ જ્યમ, અવનિ ઉદ્ધવજી ! ખંડ-ખંડ, નિષ્પ્રાણ !
ના, ગોકુળના પાયામાં, ઉદ્ધવ ! કોઈ વાસના નથી;
ને મથુરાના સહુ છદ્મ, અ-ધર્મો આજકાલના નથી !
.
મદ્ય ભરેલા ઘટમાં સો સો તીરથજળ ભર્યાથી
ઉદ્ધવ ! શું પાવન થઈ જાશે ?!
.
અમને છાંડી, એક દિવસ, ઉદ્ધવજી !
જો જો, માધવ બહુ પસ્તાશે !
.
( વીરુ પુરોહિત )