ઉદ્ધવ ગીત – વીરુ પુરોહિત

અમને છાંડી, એક દિવસ, ઉદ્ધવજી !

જો જો, માધવ બહુ પસ્તાશે !

 .

સાત અશ્વનો રથ, પણ સૂરજ થાકે ચાર પ્રહરમાં;

દશે દિશામાં સૂસવી, બંદી થાય પવન ગહવરમાં !

છો કહેવાતો એ રત્નાકર, છો કૌસ્તુભ હૃદયે ઝગે;

છો દર્પ ધરે ઊંચા કુળનું, છો ગરજે વા છો ચગે !

.

અઢળક નદીઓનો સ્વામી છે છતાંય

ઉદધિ સૂનમૂન થઈ જાય અમાસે !

અમને છાંડી, એક દિવસ, ઉદ્ધવજી !

જો જો, માધવ બહુ પસ્તાશે !

 .

છે પ્રેમ વિના માનવીનું સંવિદ, ચાપ વિનાનું બાણ;

જલ વિણ જ્યમ, અવનિ ઉદ્ધવજી ! ખંડ-ખંડ, નિષ્પ્રાણ !

ના, ગોકુળના પાયામાં, ઉદ્ધવ ! કોઈ વાસના નથી;

ને મથુરાના સહુ છદ્મ, અ-ધર્મો આજકાલના નથી !

 .

મદ્ય ભરેલા ઘટમાં સો સો તીરથજળ ભર્યાથી

ઉદ્ધવ ! શું પાવન થઈ જાશે ?!

.

અમને છાંડી, એક દિવસ, ઉદ્ધવજી !

જો જો, માધવ બહુ પસ્તાશે !

 .

( વીરુ પુરોહિત )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.