આવવાનું ને જવાનું થાય છે
આપણાથી ક્યાં કશું રોકાય છે.
એક ઈચ્છા રોજ ઈશુ થઈ જાય છે,
અવદશાના સ્તંભ પર દેખાય છે !
ચાંચ મારી એક ચકલી ઊડી ગઈ,
ને અરીસો એકલો અકળાય છે.
માત્ર પૂઠું જોઈ પુસ્તક લઈ ગયાં,
એ વગર વાંચે બધે અથડાય છે.
નીકળી ગઈ ચીસ સારસની પછી,
એજ લયમાં ગીત પણ સરજાય છે.
જીવને ઝાઝી ભલે લય ના મળે,
મૃત્યુ છંદોબદ્ધ રીતે ગાય છે.
( ચિરાગ ઝા “ઝાઝી” )