ઉદ્ધવગીત-વીરુ પુરોહિત

અરે ! આજ મેં ગૂંથી નથી વૈજયંતીમાળા !
શું, ઉદ્ધવજી ! બીજા રથે આવે છે શ્યામ રૂપાળા ?!

જાવ સખી, ઝટ જઈ પૂજાની શણગારી લ્યો થાળી;
પછી, પલક માર્યા વીણ જોતાં રહી જાશું વનમાળી !
રાસ રમ્યાં તે વસ્ત્રાભૂષણ કહાનાને બહુ છાજે;
વૃંદા, તું માધવને મનગમતું પેલું ગીત ગાજે !

ગુલાલ છાંટી, મારગ પર પ્રગટાવી દ્યો દીપમાળા !
શું, ઉદ્ધવજી ! બીજા રથે આવે છે શ્યામ રૂપાળા ?!

પણે જઈ માખણ-મિસરીના શત શત કુંડ ભરાવો;
તમે બેઉં, રાધાને આલંબન આપી લઈ આવો !
નંદ-જશોદાને કહેજો કે જાય નહીં એ ક્યાંયે;
લઈ આવશું કહાનો; જોતાં-રમતાં બહું ધરાયે !

આજ ફરીથી શુષ્ક અમારા ઓષ્ઠ થશે પરવાળાં !
શું, ઉદ્ધવજી ! બીજા રથે આવે છે શ્યામ રૂપાળા ?!

અરે ! આજ મેં ગૂંથી નથી વૈજયંતીમાળા !
શું, ઉદ્ધવજી ! બીજા રથે આવે છે શ્યામ રૂપાળા ?!

( વીરુ પુરોહિત )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.