જે સરનામું છે-અદી મિર્ઝા

એના હાથોમાં જે સરનામું છે,
એ ઠેકાણું તો મારા ઘરનું છે !

એક સુરાલય છે આપણું મિત્રો,
બાકી આખું જગત તો એનું છે !

તારે શું કહેવું છે હું જાણું છું,
તને મારે પણ એ જ કહેવું છે !

એનું મળવું ન મળવા જેવું હતું,
એનું જોવુંય જોવા જેવું છે !

પહેલા આ વાતનો ખુલાસો કર,
તારે દિલ દેવું છે કે લેવું છે ?

એ ખુદા છે તો એના ઘરનો હશે,
એને ક્યાં મારા ઘરમાં રહેવું છે !

તું સહજ મનની આંખ ખોલ ને જો,
તારી સામે જ કોઈ બેઠું છે !

આ ગઝલ તો તમારી છે, ‘ઓ અદી’
એમાં જે દર્દ છે એ કોનું છે ?

( અદી મિર્ઝા )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.