ભરવાડનો રખેવાળ કૂતરો-સંસ્કૃતિરાણી દેસાઈ

ભરવાડને ચિંતા નથી
તેનો રખેવાળ કૂતરો, છૂટાંછવાયાં થઈ ગયેલાં
ઘેટાંઓને ભેગાં કરી, પરોણા વડે હાંકી, કોઈક વાર વઢી
વાડામાં લઈ આવે છે સાચવીને
ઘેટાં રોજ ચરવા લઈ જાય છે.
ભરવાડનો રખેવાળ કૂતરો
થોડું આમ તેમ ચરાવી, થોડી વાર છુટ્ટા ફરવાની પરવાનગી આપી
હંમેશ નજર રાખી, સાંજે લઈ આવે છે પાછાં,
માંદા તરફ ધ્યાન દોરે છે ભરવાડનું.

ને પેલો ‘સિનિયર’ ભરવાડનો કૂતરો
માનવીઓને ભૂલથી ચરવામાં ને ચરવામાં
બીજા જન્મમાં ન પહોંચી જાય તેનું ધ્યાન રાખે છે.
માનવીની ચરવાની સીમા છે આ જન્મ સુધીની.
ડાબે, જમણે, ઉપર, નીચે જતાં દૂર સુધી જઈ
બીજા જન્મમાં ભૂલથી ન પહોંચી જવાય…
ભરવાડનો રખેવાળ કૂતરો, કે ભરવાડ, બહુ કડક નથી.
પણ નિયમ એટલે નિયમ.

મને સાચવતો રખેવાળ કૂતરો પણ સતત હાંક્યા કરે છે
મારા વિચારોને, વર્તનને
ભરવાડ ખુશ છે, રખેવાળ કૂતરાના કામથી.

ભરવાડ, રખેવાળ કૂતરા અને ઘેટાંનું
સારું ચાલે છે ક્યારનું…જન્મોથી…

( સંસ્કૃતિરાણી દેસાઈ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.