તું જે કહે એ કરું,
ઝેર પીને જીવું, કહે તો અમૃત પીને મરું !
તનમાં ખળખળ વહી રહ્યા છે લોહી કેરાં ઝરણાં,
મનમાં અવિરત દોડે છે મીઠી યાદોના હરણાં.
તેં આપ્યું એ વિકસાવીને અંતે તુજને ધરું.
જેમ તને હું ઝંખું છું એમ તુંય મને ઝંખે છે,
તોય મળાતું નથી હજી એ વાત મને ડંખે છે.
હા મળવાથી ઉત્કંઠાઓ મરી જાય…એ ખરું !
( કિરણસિંહ ચૌહાણ )