પંખીઓનાં અભયારણ્યોમાં વિહરું-મનોજ્ઞા દેસાઈ

પંખીઓનાં અભયારણ્યોમાં વિહરું છું
ત્યારે તેં કુરુક્ષેત્રમાં પેલી ટિટોડીને
દીધેલું ઘંટનું એક વિરાટ રક્ષાકવચ
અદ્રશ્ય રૂપે
મને દેખાય છે
આખાય અભયારણ્યને આવરી લેતું…

જ્યારે જ્યારે
ખગ્રાસ સૂર્યગ્રહણની તેજ-છાયા
એની ઓછાયા-પડછાયા
મારી આ ધરતીને વીંટળાઈ વળ્યા
ત્યારે મને
કોઈક વાર સૂર્યમાં તારું મુખ દેખાયું
એ જ શ્યામલતા
ને તેની ફરતાં એ જ તેજોવલય…

તો કોઈ વાર થયું
કે તારું સુદર્શનચક્ર તો નહીં હોય
યુદ્ધ વખતે અર્જુનના જીવનાર્થે
સૂર્ય સામે ધરી દીધેલું
અસ્તનો આભાસ ઊભો કરતું.

( મનોજ્ઞા દેસાઈ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.