તો શું કહેવું-શું કરવું ?-નલિની માડગાંવકર

ખળખળતી નદી પાસે જળ માંગીએ
અને એ ખોબોભરીને કાંકરા દે
તો શું કહેવું ?

વાંકા બોલાની વચ્ચે જીવનભર
મીઠા બોલે જીવવું પડે
તો શું કહેવું ?

પાનખરની તાળી ઝીલનારાને
વસંતનાં ગીતો સંભળાવવાં પડે
તો શું કહેવું ?

દરિયામાં શેલારા લેવાને બદલે
રેતીના ઢગલા ઉલેચનારાને
ભલા ! શું કહેવું ?

જીવવા માટે ચપટીભર ખુશી લઈએ
ત્યાં તો માથે મણમણનાં છાણાં થાય
તો શું કહેવું ?

ગીત ગાવું હોય ત્યારે સામે
ગઝલની મહેફિલ મળે
તો ભલા ! શું કરવું ?

કવિતા લખવી હોય ત્યારે જ
માથે આધાશીશી ઝળૂંબતી હોય
તો ભલા ! શું કરવું ?

દાળની સાથે કઢીની વાટકી કોઈ માંગે
અને છાશની વાટકી ધરવી પડે
તો કરવું શું ?

લાંબું આયખું જીવવું હોય
ત્યારે જ જીવ જાઉં જાઉં કરે
તો ભલા એને કહેવું શું ?

તમે જ કહો, હવે કરવું શું ?

( નલિની માડગાંવકર )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.