નહિ ટાળું !-વીરુ પુરોહિત

હું નહીં શ્યામને ભાળું !
પ્રણ લીધું છે, ઉદ્ધવ ! મારા પ્રાણ ગયે નહિ ટાળું !

હતો સમય કે જ્યારે વ્હાલાં થવા કૃષ્ણને જીવતાં;
કરી એકઠાં મોરપિચ્છ, કહાનાનાં વસ્ત્રો સીવતાં !
કાલાવાલા કરીએ ત્યારે માંડ વગાડે બંસી;
એ વેળા થાતું કે હું તો મનસરોવર હંસી !

થયું બધું વેરાન, થોરની વચ્ચે જીવન ગાળું !
હું નહીં શ્યામને ભાળું !

હશે શ્યામને, એના વિણ ગોકુળનો ઊડ્યો રંગ;
કોણ હશે જે મરક-મરકતું ઊભું રહે ત્રિભંગ ?
કહેજો, ઉદ્ધવ ! અમે બધાંયે ભૂલી ગયાં ગઈકાલ;
આ વેળા, મોસમનો સાચ્ચે મબલખ ઊતર્યો ફાલ !

હાશ, નગરમાં કોઈ નથી કરનારું કામણ કાળું !
હું નહીં શ્યામને ભાળું !

પ્રણ લીધું છે, ઉદ્ધવ ! મારા પ્રાણ ગયે નહિ ટાળું !

( વીરુ પુરોહિત )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.