ભમરાએ
કદી, કોઈ દિવસ
ફૂલનાં આંસુ લૂછ્યાં હોય એવું
આજ લગી જાણ્યું નથી.
એ તો આવે ને જાય
ગીત એનાં જ ગાય
ને
જતાં જતાં
ડંખ એક મૂકી જાય.
માની લ્યો
કે
ક્યારેક, કદાચ
કોઈ ભમરાએ
ફૂલનાં આંસુ લૂછ્યાં હોય
તો
ભમરાઓની સભા ભરાય
ને
એમાં જાહેર થાય
કે આવું તે થાય ?
ચાલો,
આ ભમરાને
આપણી ન્યાતબહાર મૂકો,
કારણ કે
એણે ગુનો કર્યો છે
ફૂલનાં આંસુ લૂછવાનો…
( પન્ના નાયક )