એ‘નેવર હેટ યોર એનિમીઝ, ઇટ અફેક્ટસ યોર જજમેન્ટ’
– ધ ગોડ ફાધર
ક માણસની પત્નીને એના પિતરાઈ ભાઈએ જાહેરમાં નગ્ન કરવાનો પ્રયાસ કર્યો. એ માણસનું દિમાગ ભયાનક ક્રોધથી ફાટી ગયું. વર્ષો સુધી રોજ એ અપમાનનો ઘૂંટ પીતો રહ્યો અને જીવતો રહ્યો. ચૌદ વર્ષ બાદ એણે એ પિતરાઈને પકડ્યો અને બેરહેમીથી ફટકાર્યો. બેહદ ક્રૂરતાથી એની છાતી ચીરી નાખી અને ઘૂંટડો ભરીને એનું લોહી પીધું. આ એક વીરનું વેર હતું અને એક બાહુબલિનું તર્પણ હતું. ઇતિહાસ આ માણસને ભીમના નામે ઓળખે છે.
ગાંધીવાદી ગુજરાતમાં વેર અને ક્રૂરતાની વાત કરવી એ સ્કોટલેન્ડમાં જઈ શિવામ્બુની હિમાયત કરવા જેવું છે. અહિંસાને વીરત્વ સાથે જોડવાની મૂર્ખામી આપણે વર્ષોથી કરતા આવ્યા છીએ. માર ખાવામાં કઈ બહાદુરી છે એ મને આજ દિન સુધી સમજાયું નથી. ગાંધીજીએ એક લાફો મારનાર સામે બીજો ગાલ ધરવાની હિમાયત કરી અને હવે આખો દેશ દર વર્ષે બે વર્ષે પાકિસ્તાન સામે બીજો ગાલ ધરતો રહે છે. ક્યારેક મુંબઈ તો ક્યારેક પઠાણકોટ. પાકિસ્તાન તમાચા મારતું રહે છે અને ભારતીયો જોતા રહે છે.
વીરત્વ એ સર્વોપરિતાની સાધના છે. માને કેદમાં પૂરનાર મામાનો વધ કર્યા વગર એક ગોવાળિયો કૃષ્ણ બની શકતો નથી અને પુત્રની હત્યા કરનારની સાંજ પહેલાં હત્યા કરવી જ પડે એ અર્જુનનો આદર્શ છે. ભીમ, અર્જુન અને કૃષ્ણ વીરત્વના શિખર છે. યુદ્ધભૂમિ ઉપર કૃષ્ણ અર્જુનને કર્તવ્ય યાદ કરાવે છે. અે કર્તવ્ય છે યુદ્ધ કરવાનું, સ્વજનોને હણવાનું અને વેર લેવાનું. ગીતા એ યુદ્ધ ગ્રંથ છે ક્ષમા ગ્રંથ નથી.
વીરત્વ વગરનું પૌરુષત્વ કેવી રીતે હોઈ શકે? અને વેર અને ક્રૂરતા વગરનું વીરત્વ કેવી રીતે હોઈ શકે! પૌરુષત્વ એ બાયોલોજિકલ અવસ્થા નથી. અપમાનને રોજ યાદ કરવું અને બદલો લેવો એ પૌરુષત્વ છે. વેરના આનંદ જેવો અાનંદ બીજો એક પણ નથી. સ્ત્રીત્વ એ છે કે જે પૌરુષત્વને રસ્તો બતાવે છે. મુઘલોનાં કબજામાં રહેલો કિલ્લો અાંખમાં કણાની જેમ ખૂંચતો હોય એવી સ્ત્રી જ જીજાબાઈ હોઈ શકે ને એ દુર્ગમ કિલ્લો જીતવાનો નિર્ધાર કરનાર પુત્ર જ શિવાજી હોઈ શકે.
ઇતિહાસ શક્તિશાળીઓની દાસ્તાન છે. વીરત્વ એ મૂર્ખામી નથી, વીર એ છે કે જેને ખબર છે કે વેર ક્યારે અને કેવી રીતે લેવાય. બાણશૈયા પર પડેલા ભીષ્મ યુધિષ્ઠિરને પ્રતિશોધના નિયમો સમજાવતા કહે છે જે નદી પાર ન કરી શકો એને ઓળંગવાનું સાહસ ન કરો. એવા શત્રુ પર પ્રહારો ન કરો જેનું માથું કાપીને જમીન પર ફેંકી ન શકો. પછી ભીષ્મ કૂટનીતિનું રહસ્ય ખોલે છે, દુશ્મન પર પ્રહાર કરતા પહેલાં પણ મીઠું બોલવું અને ઘા મારી લીધા પછી પણ મીઠું જ બોલવું. વેરીનું માથું કાપી નાખીને એના માટે શોક વ્યક્ત કરવો અને રડવું. આ મહાભારત છે.
‘ગોડ ફાધર’માં મારીયો પુઝોએ એક અમર લાઇન લખી છે, ‘રિવેન્જ ઇઝ અ ડિશ ધેટ ટેસ્ટ્સ બેસ્ટ વ્હેન ઇટ ઇઝ કોલ્ડ’ વેર એ આખેટ છે, શિકાર છે. એ આંધળૂકિયાં નથી. એમાં લાગણીઓનાં વાવાઝોડાં નથી. એમાં છે કાતિલ ગણતરીઓની મોરચાબંધી. યોગ્ય સ્થળે, યોગ્ય સમયે જે ઘા મારે છે એ વીર છે. ઘોર અન્યાયમાંથી, ભયાનક અપમાનમાંથી વેર જન્મે છે અને એવું જ વેર માન્ય છે. અપમાન એ વ્યક્તિગત બાબત છે અને એનો ‘સંસ્થાકીય’ ઉકેલ કેવી રીતે હોઈ શકે?
મહાભારતમાં તો ક્યાંય એવું લખ્યું નથી કે દુ:શાસનને યુદ્ધકેદી ગણીને તેની સામે ખટલો ચલાવાયો હતો! અપમાન કરનારના આખા વંશની ઘોર ખોદી નાખવી પડે એવું શીખવનાર શિક્ષકો જ સાચું ઘડતર કરાવી શકે છે. વર્ષો અગાઉ આવો એક શિક્ષક ભારતવર્ષે જોયો હતો એ શિક્ષક, એ ચાણક્યના નીતિસૂત્રો આપણે વોટ્સએપ પર ફરતાં કરીએ છીએ, પણ એની કેળવણીને ભૂલી જઈએ છીએ. જ્યારે ધનનંદે એનું અપમાન કર્યું હતું ત્યારે એણે શિખા ખોલી નાખી હતી અને દ્રૌપદીએ દુ:શાસનના લોહીથી જ વાળ ઓળીશ એવું કહી વાળ ખુલ્લા રાખ્યા હતાં. પોનીટેઇલ બાંધતા યુવાનોની પ્રજાતિએ ઇતિહાસમાંથી વેરનું વિજ્ઞાન શીખવા જેવું છે.
આપણે ત્યાં સૌથી મોટું ડીંડવાણું ‘ક્ષમા’નું ચાલે છે. ક્ષમા કોણ આપી શકે છે? જે ‘મહાવીર’ હોય તે ક્ષમા આપી શકે. ‘મહાવીર’ હોવું એ વીરત્વની ઉપરની કક્ષા છે. એ કક્ષાએ પહેલાં પહોંચવું પડે પછી ક્ષમાની વાત કરી શકાય. આમ આદમી જ્યારે ક્ષમાની વાત કરે ત્યારે એ નિર્બળતાનું પ્રદર્શન કરે છે. ક્ષમા કાયમી ન હોઈ શકે. એની એક મર્યાદા હોય. શિશુપાલને નવ્વાણુ ગાળોની ક્ષમા હતી, પણ સોમી ગાળે એની સામે સુદર્શન હતું. ક્ષમા એ બ્લેન્ક ચેક નથી. એ ડેબિટ કાર્ડ છે, બેલેન્સ પૂરું થાય એટલે ખાતું બંધ કરી દેવાનું.
( પ્રણવ ગોળવેલકર )