ત્રણ ગઝલ – શયદા

૧.
નથી ઈકરાર સમજીને, નથી ઈનકાર સમજીને,
તમે પણ ક્યાં કરો છો વાત કે વહેવાર સમજીને.

છરી એણે જ આ મારા ગળા ઉપર ચલાવી છે;
ગળે જેને લગાડ્યા’તા ગળાનો હાર સમજીને.

હજારો સારનો એ સાર કે જીવન અસાર છે;
પછી હું શું કરું ‘શયદા’ જીવનનો સાર સમજીને.

૨.
નજરના તીર જોતાં હું જગાડીને જિગર બોલ્યો,
ઊઠો સત્કાર કરવાને નવા મહેમાન આવે છે.

ઝૂકીને જામની ઈઝ્ઝત કરું ના કેમ હું સાકી,
સુરાહી જામ પાસે આવતાં મસ્તક ઝુકાવે છે.

ઈબાદત શું કરે છે, એ બધી હું વાત જાણું છું,
અરે બંદા ખુદાના, તું ખુદાને શું બનાવે છે ?

વિચારી બોલ ‘શયદા’ યા તું એને રાખ કાબૂમાં,
અરે એ જીભ છે, જે વિશ્વમાં માથા કપાવે છે.

૩.
એ સમયની વાત છે, જ્યારે સમય બદલાય છે,
શબ્દ એના એ જ, એના અર્થ જુદા થાય છે.

મૂર્ખ અને મૂર્ખાઈથી શું કામ તું ગભરાય છે ?
જ્ઞાનીઓ પણ જ્ઞાનમાં હંમેશ ગોથાં ખાય છે.

ધર્મની વાતો કર્યાથી ધર્મ સચવાતો નથી,
ધર્મના પોશાકમાં પણ કામ કાળાં થાય છે.

છે તને તારી જવાનીની કસમ સાચું કહે,
રૂપને જોયા પછી શું શું હૃદયમાં થાય છે.

( શયદા )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.