૧.
ડાળે
એક પાંદડું
ફરફરતું હોય છે
ત્યાં લગી
વૃક્ષને ક્યાં બીક હોય છે
પાનખરની ?
૨.
ફૂલ, ડાળ કે
પંખીથી નહીં પણ
વૃક્ષ ઓળખાય છે
પાંદડાંથી.
૩.
જે દિવસે
કાગડા અને કોયલમાંથી
વૃક્ષ લેશે
કાગડાનો પક્ષ
તે દિવસે તેની ડાળને
લીલાં નહીં પણ
ફૂટશે કાળાં પાંદડાં.
૪.
મોસમના રંગે
બદલાતા વૃક્ષને
સમજી શકે છે માત્ર
પાંદડાં.
( પ્રીતમ લખલાણી )