૧.
છત્રી ખૂલતાં જ
તડકો
આભથી
ધોધમાર વરસે !
૨.
છત્રી
છતાં
મુગ્ધા
કોઈની યાદમાં
તરબોળ ભીંજાય.
૩.
માણસને
છાપરા તળે
કોરોકટ ઊભેલ જોઈને
છત્રી
ટહુકતા મોરને કહે :
‘મૂવા, અભાગિયા
અવસરે પણ
ભીંજાઈ ન શક્યા !’
૪.
જો
માણસ
છત્રીની જેમ
ઊઘડી શકતો હોત તો !
કદાચ
આભ
બારેમાસ
મન મૂકીને
વરસતું હોત !
૫.
જ્યોતિષના ઇશારે
ફૂટપાથે
નાચતો પોપટ
છત્રીના છિદ્રમાંથી
દેખાતા
આભ સામું જોઈને
ભવિષ્યનું પાનું
નહીં ખોલતો હોયને ?
( પ્રીતમ લખલાણી )