ઉદ્ધવ ગીત-વીરુ પુરોહિત

વિનિપાત નોતરવા, કરવાં પડે જ વિપરીત કાર્યો !
ઉદ્ધવ ! શ્યામે ગોકુળ છોડી, પગે કુહાડો માર્યો !

આમ્રકુંજમાં કૂજે કોકિલ, ટહુકો લાગે મીઠો;
થોર ઉપર શું કોઈ કાગડો પણ બેસેલો દીઠો ?
સહન કરત જો શિર પર ઢોળી દેત સૂરજની હાંડી;
વિરહ થકીયે વસમું છે, જે શ્યામ ગયા છે છાંડી !

રહ્યાં અ-સાવધ અમે, રમ્યો એ દાવ કપટનો ધાર્યો !
ઉદ્ધવ ! શ્યામે ગોકુળ છોડી, પગે કુહાડો માર્યો !

વસ્ત્ર વિના તો દાખવશે શી રીતે કલા રંગારો ?
ઘાસ નથી તો આપોઆપ જ ઠરી જશે અંગારો !
એક વૃક્ષ પણ હોય નહીં એવાં રણમાં આથડશે;
વનરાવન, ગોકુળ માધવને ક્ષણે ક્ષણે સાંભરશે !

થાય કદી પસ્તાવો, કહેજો : આવે થાક્યો – હાર્યો !

વિનિપાત નોતરવા, કરવાં પડે જ વિપરીત કાર્યો !
ઉદ્ધવ ! શ્યામે ગોકુળ છોડી, પગે કુહાડો માર્યો !

( વીરુ પુરોહિત )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.