ઉદ્ધવ ગીત-વીરુ પુરોહિત

કહ્યું હોય જો શ્યામે, ઉદ્ધવ !
અમે ગોપીઓ મામ મૂકીને જઈએ મથુરાગ્રામ !

“અમે કર્યો છે પ્રેમ જ કેવળ,” હરખ્યાં જગમાં કથી;
શા સગપણ જોડ્યાં કહાનાએ, અમે જાણતા નથી !
હોય પ્રેમમય, તે સઘળાંને બાહુપાશમાં લે છે;
તેથી જ પહેલાં બધા છોડમાં બે પર્ણો પ્રગટે છે !

વશ કરશું જો ફરી આવશે;
તો, ઉદ્ધવજી ! કદી ન માધવ જાવાનું લ્યે નામ !
કહ્યું હોય જો શ્યામે, ઉદ્ધવ !
અમે ગોપીઓ મામ મૂકીને જઈએ મથુરાગ્રામ !

મલય પર્વતે ચંદનવૃક્ષો, બીજે બધે બાવળનાં;
યુગો સુધી સહુ ગુણ ગાવાના, માધવન’ને ગોકુળનાં !

રટણ હોય છે એક જ, ઉદ્ધવ ! રોજ અમારું સપને;
કાં તો મારા થાવ, અને કાં સ્વીકારી લો અમને !

એક દિવસ જો જો, ઉદ્ધવજી !
બધા પ્રેમીઓ, ગોકુળ ગણશે ગમતું તીરથધામ !

કહ્યું હોય જો શ્યામે, ઉદ્ધવ !
અમે ગોપીઓ મામ મૂકીને જઈએ મથુરાગ્રામ !

( વીરુ પુરોહિત )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.