લો, અલખના ઓટલે બેસી ચલમ પીધી અમે,
ને પળોને ઘેનથી ઘેઘૂર-ઘટ્ટ કીધી અમે.
કે, વળાંકો કેટલા આવ્યા હતા વચ્ચે; નકર-
ચાલવાને કેડી પકડી’તી સરળ-સીધી અમે.
કે, ન’તું મંજૂર જેને ખુશ થવું ક્યારેય પણ;
વેદના સઘળીય એની આંચકી લીધી અમે.
સ્પષ્ટ ને સહેલાઈની એવી પળોજણમાં પડ્યા;
ને સરળતાથી કરી દીધી જટિલ વિધિ અમે.
શ્વાસ કરતાંયે વધારે એમની નિકટ ગયા;
તોય ના પામ્યા અરેરે સહેજ સન્નિધિ અમે !
( કરસનદાસ લુહાર )