ગઝલકાર હરદ્વાર ગોસ્વામીનો જન્મ નરસિંહ મહેતાની ભૂમી તળાજામાં 18 જુલાઈ 1976 ના રોજ થયો હતો. (પિતા: મનરૂપગીરી ગોસ્વામી, માતા: ચારુલતાબેન ગોસ્વામી). તેમણે પ્રાથમિક શિક્ષણ તળાજા પ્રાથમિક શાળામાંથી 1992માં પૂર્ણ કર્યું. ધોરણ 10 અને 12નો અભ્યાસ એમ. જે દોશી હાઈસ્કૂલ, તળાજામાંથી 1995માં પૂર્ણ કર્યો. 1998માં તેમણે શામળદાસ આર્ટસ્ કૉલેજ, ભાવનગર ખાતેથી B.A ની ડિગ્રી જ્યારે 2000માં ગુજરાતી ભાષા સાહિત્ય ભવન, ભાવનગર યુનિવર્સિટીમાંથી M.A ની ડિગ્રી મેળવી. ત્યારબાદ 2002માં ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતેથી M. Phil ની ડિગ્રી મેળવી. (સંશોધન ગ્રંથ: ત્રણ ગઝલકારો-એક અધ્યયન). 2000ની સાલથી તેઓ અમદાવાદની ગુજરાત કૉલેજમાં ગુજરાતીના વિઝિટીંગ લૅક્ચરર તરીકે જોડાયા. એ પછી એમ.પી આર્ટસ્ ઍન્ડ કૉમર્સ કૉલેજ (અમદાવાદ) અને એસ. એલ. યુ કૉલેજ (અમદાવાદ)માં લેક્ચરર તરીકે સેવાઓ આપી. 2013થી તેઓ ફુલ-ટાઈમ કવિ, સંચાલક, ગીતકાર અને નાટ્યકાર તરીકે વ્યસ્ત છે. તેમણે કાવ્યસર્જનનો પ્રારંભ તેમના શાળાજીવન દરમિયાન કર્યો હતો. ધોરણ-11માં તેમની કવિતા ગુજરાતી કવિતાના રુતુપત્ર ‘કવિલોક’માં પ્રકાશિત થયેલી. ત્યારબાદ તેમની કવિતાઓ અન્ય ગુજરાતી સામાયિકોમાં સ્થાન પામી. 2007માં તેમની ગઝલો ‘વીસ પંચા’ નામના સંપાદનમાં (અન્ય ચાર યુવા કવિઓ અનિલ ચાવડા, અશોક ચાવડા, ભાવેશ ભટ્ટ અને ચંદ્રેશ મકવાણા સાથે) સ્થાન પામી. 2005માં તેમનો ગઝલસંગ્રહ ‘હવાને કિનારે’ પ્રકાશિત થયો. ગુજરાત સરકાર અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્ધારા દર વર્ષે એક યુવા સાહિત્યકારને અપાતો ‘યુવા ગૌરવ પુરસ્કાર’ 2009ના વર્ષ માટે તેમને પ્રાપ્ત થયેલ છે. તેમણે નાટકો ‘ડો. અયન કાચવાલા’ ને 1995ંનુ જ્યારે ‘નાટકનું નાટક’ ને 1996ંનુ બટુભાઈ ઉમરવાડિયા પારિતોષિક પ્રાપ્ત થયેલ છે. ડૉ. ધીરુ પરીખ હરદ્વાર ગોસ્વામીની કવિતા વિશે કવિલોક મે-જૂન (2015) માં નોંધે છે: “હરદ્વારના સર્જનની અતિ મહત્વની વાત એ છે કે અતિ હ્રદયસ્પર્શી સંવેદન તેઓ ખુબ જ ઓછા શબ્દોમાં અસરકારક રીતે મુકી આપે છે. આમ કરવા જતાં તેઓ કવિતાતત્વને હાનિ ન પહોંચે તેની ખાસ કાળજી રાખે છે”.
E-mail : hardwargoswami@gmail.com