સ્વભાવ છે-ગુલામ અબ્બાસ ‘નાસાદ’

દિલ પર ભલેને બોજ ને મુખ પર તનાવ છે,
લોકોને મળતાં રહેવું એ મારો સ્વભાવ છે.

મારી નજરમાં મારા પ્રણયનું મહત્વ પણ,
લોકોની દ્રષ્ટિમાં એ ફક્ત એક બનાવ છે.

કારણ વગરનું હસીયે તો પાગલ ગણાઈએ,
હસતા રહો તબીબોનો એવો સુઝાવ છે.

પહેલાં કદી ભર્યું ભર્યું મારુંય ઘર હતું,
આજે સમય છે કેવો, ન કંઈ આવજાવ છે.

મારી જ સાથે થાય છે ઘટનાઓ અવનવી,
દરિયો દીસે છે શાંત ને મુશ્કિલમાં નાવ છે.

મા’ની દુઆઓ શું છે પરિચય ન માગ તું,
આ તો વિશેષ લાગણીનો રખરખાવ છે.

શ્વાસોની આ સફરમાં રહે પ્યાસી આત્મા,
રસ્તામાં ના તો કૂવા છે ના કોઈ વાવ છે.

મંઝિલ ગણીને સ્થાપી ગણતરીઓ ના મૂકો,
‘નાસાદ’ જિંદગી અહીં કેવળ પડાવ છે.

( ગુલામ અબ્બાસ ‘નાસાદ’ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.