તમે ધીમે-ધીમે મૃત્યુ તરફ ધકેલાશો-પાબ્લો નેરુદા, અનુ. છાયા ત્રિવેદી

જો તમે પ્રવાસ નહીં કરો,
પુસ્તકો વાંચશો નહીં,
જો તમે જીવનનો રવ નહીં સાંભળો,
તમે તમારી પીઠ નહીં થપથપાવો-
તો તમે ધીમે-ધીમે મૃત્યુ તરફ ધકેલાશો.

જો તમે તમારું આત્મગૌરવ ગુમાવશો,
તમે બીજાની મદદ લેવામાં કતરાશો-
તો તમે ધીમે-ધીમે મૃત્યુ તરફ ધકેલાશો.

જો તમે તમારી આદતોના ગુલામ બની જશો,
દરરોજ એ જ જાણીતા માર્ગ ઉપર ચાલ્યા કરશો,
જો તમે તમારી ઘરેડ છોડશો નહીં,
જુદા-જુદા રંગ પહેરશો નહીં,
અને તમે અજાણ્યા સાથે બોલશો નહીં-
તો તમે ધીમે-ધીમે મૃત્યુ તરફ ધકેલાશો.

જો તમે આંખને ચમકાવતી અને
હૃદયના ધબકારને તેજ કરતી
આવેગોની અનુભૂતિની અને
તેનાં બળૂકાં સંવેદનોની અવગણના કરશો-
તો તમે ધીમે-ધીમે મૃત્યુ તરફ ધકેલાશો.

તમે તમારા કાર્યસ્થળ અને સ્નેહ-સંબંધથી સંતુષ્ટ ન હોવા છતાં
જો તે બદલશો નહીં,
સલામતી સામે અનિશ્ચિત જોખમ નહીં ઉઠાવો,
જો તમે તમારાં સપનાં પાછળ દોડશો નહીં-
તો તમે ધીમે-ધીમે મૃત્યુ તરફ ધકેલાશો.

જો તમે જીવનમાં એક વાર પણ
વાજબી સલાહથી
જાતને,
દૂર ભાગી જવા નહીં દો-
તો તમે ધીમે-ધીમે મૃત્યુ તરફ ધકેલાશો.

( પાબ્લો નેરુદા, અનુ. છાયા ત્રિવેદી )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.