સાંજ પડતાં એ જ કારોબાર ચાલે,
કોઈ આવે કોઈ બારોબાર ચાલે.
કોણ જાણે કેમની છે જીવલીલા ?
હું અહીંયા શ્વાસ સામે પાર ચાલે.
સ્વાદ પાછો કેમ આજે બેઅસર છે ?
એ સમયની ધાક વારંવાર ચાલે.
જિંદગીને એવડું તે દુ:ખ ક્યાં છે ?
કાયમી એ ખીણ ધારોધાર ચાલે ?
એ જ ડાળી, એ જ પંખી, એ જ ટહુકા,
રણ વચાળે એ જ હારોહાર ચાલે.
( તથાગત પટેલ )