ઓગળી જાય-દિવ્યા મોદી

હું ચાહું કે મારો અહમ ઓગળી જાય,
પછી જ્ઞાનગંગામાં જઈને ભળી જાય.

તમારી જ વાતોને ચાખી રહી છું,
ગઝલ નામનું ફળ રખેને મળી જાય.

જગતને તો પહેલેથી એ ટેવ છે કે,
તમારી કથામાં મને સાંકળી જાય.

આ વાતાવરણમાં તમે જો મળો તો,
મુલાકાતનાં સૌ બહાના ફળી જાય.

નજર જ્યાં નજર સંગ વાતો કરે તો,
દહેશત રહે કે, નગર સાંભળી જાય.

ઘણાં માર્ગ ને મંઝીલો છે, છતાંયે,
તમારી તરફ આ ચરણ પણ વળી જાય.

અહીં શબ્દનું ઘર તો ઊઘડી ગયું છે,
વિચારોના દરિયા ભલે ખળભળી જાય.

( દિવ્યા મોદી )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.