ઉદ્ધવગીત-વીરુ પુરોહિત

બહુ મોડે સમજાયું, ઉદ્ધવ !
જલ પીવા કૈં ઊંડે કૂવે ખાબકવાનું હોય ?!
સીંચણિયાથી ઘડો ભરીને તૃપ્ત થવાનું હોય !

ગગન સ્પર્શવા અમે વેલીઓ વૃક્ષ ઉપર જઈ ચડ્યાં;
હતું બટકણું વૃક્ષ એટલે કડડભૂસ થઈ પડ્યાં ?
લાભ થાય શું, ઝોળી લૈને સૂર્યકિરણ ભરવાથી ?
માટીની પૂતળી થઈને શું મળે નદી તરવાથી ?

બહુ મોડે સમજાયું, ઉદ્ધવ !
અંધારે ડગ ભરતાં પહેલાં વિચારવાનું હોય !
જલ પીવા કૈં ઊંડે કૂવે ખાબકવાનું હોય ?!

કહ્યું હોય જ્ઞાનીએ તો સહુ જાગી જાતને વહેલાં;
પાળ બાંધવી પડે, વિરહનું પૂર આવતાં પહેલાં !
હતા અમે અણસમજુ, પણ શું કહાન જાણતા નો’તાં ?
ઉદ્ધવજી ! એ ગયા ઉખેડી સઘળાંને મૂળસોતાં !

બહુ મોડે સમજાયું, ઉદ્ધવ !
અબળાએ તો પ્રેમ કરી, બસ કરગરવાનું હોય !

બહુ મોડે સમજાયું, ઉદ્ધવ !
જલ પીવા કૈં ઊંડે કૂવે ખાબકવાનું હોય ?!
સીંચણિયાથી ઘડો ભરીને તૃપ્ત થવાનું હોય !

( વીરુ પુરોહિત )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.