ઉદ્ધવગીત-વીરુ પુરોહિત

ઉપાય એક્કે સૂઝે નહીં, જો સમય બને છે ક્રૂર !
ઉદ્ધવજી ! છે સમીપ તો યે મથુરા જોજન દૂર !
શ્યામ ગયા છે તે દહાડાથી નથી આંજતાં કાજળ;
આમે ય બારેમાસ અહીં ઘેરાતાં રે છે વાદળ !
ડંખી ભ્રમરે કરી ચાળણી જેમ કમળ-પાંખડીઓ;
ઝમી રહી છે ગોપીની બહુ-છિદ્રાળુ આંખડીઓ !

નથી સમાતું બે પાંપણની વચ્ચે ઊમટ્યું પૂર !
ઉદ્ધવજી ! છે સમીપ તો યે મથુરા જોજન દૂર !

ક્યાં જાવાનાં પક્ષી, ઉદ્ધવ ! પહોંચી ટગલી ડાળે ?
કાં પટકાશે ભોમ અને કાં દુ:ખમાં દિવસો ગાળે !
કહેવાઓ છો જ્ઞાનનિધિ, કંઈ કરો અમારાં જોગ;
હશે કોઈ ગ્રંથે નિર્દેશ્યો ‘વિરહ વિમોચન યોગ’ !

થશે અમારો અંત સુખદ, તો સઘળું રસભરપૂર !
ઉદ્ધવજી ! છે સમીપ તો યે મથુરા જોજન દૂર !

ઉપાય એક્કે સૂઝે નહીં, જો સમય બને છે ક્રૂર !
ઉદ્ધવજી ! છે સમીપ તો યે મથુરા જોજન દૂર !

( વીરુ પુરોહિત )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.