ઉપાય એક્કે સૂઝે નહીં, જો સમય બને છે ક્રૂર !
ઉદ્ધવજી ! છે સમીપ તો યે મથુરા જોજન દૂર !
શ્યામ ગયા છે તે દહાડાથી નથી આંજતાં કાજળ;
આમે ય બારેમાસ અહીં ઘેરાતાં રે છે વાદળ !
ડંખી ભ્રમરે કરી ચાળણી જેમ કમળ-પાંખડીઓ;
ઝમી રહી છે ગોપીની બહુ-છિદ્રાળુ આંખડીઓ !
નથી સમાતું બે પાંપણની વચ્ચે ઊમટ્યું પૂર !
ઉદ્ધવજી ! છે સમીપ તો યે મથુરા જોજન દૂર !
ક્યાં જાવાનાં પક્ષી, ઉદ્ધવ ! પહોંચી ટગલી ડાળે ?
કાં પટકાશે ભોમ અને કાં દુ:ખમાં દિવસો ગાળે !
કહેવાઓ છો જ્ઞાનનિધિ, કંઈ કરો અમારાં જોગ;
હશે કોઈ ગ્રંથે નિર્દેશ્યો ‘વિરહ વિમોચન યોગ’ !
થશે અમારો અંત સુખદ, તો સઘળું રસભરપૂર !
ઉદ્ધવજી ! છે સમીપ તો યે મથુરા જોજન દૂર !
ઉપાય એક્કે સૂઝે નહીં, જો સમય બને છે ક્રૂર !
ઉદ્ધવજી ! છે સમીપ તો યે મથુરા જોજન દૂર !
( વીરુ પુરોહિત )