તાર તાર-હરકિસન જોષી

ખખડતા હોય દ્વાર, એમ કેમ લાગે છે ?
હવાને હોય ધાર, એમ કેમ લાગે છે ?

પડે ન રાત, ન તો નિંદરા, ન સપનાઓ;
સવાર ને સવાર, એમ કેમ લાગે છે ?

ફરીને જોઈ લીધું, ચોતરફ દીવાલો છે;
જવાય આરપાર, એમ કેમ લાગે છે ?

વણેલું હોય ઘટ્ટ વસ્ત્ર જેવું વિશ્વ યદિ,
બધેથી તાર તાર, એમ કેમ લાગે છે ?

કદી તું મુજથી અલગ હોય નહીં સાહેબ તો;
સદા હો ઈંતજાર, એમ કેમ લાગે છે ?

સમાતો હો તું અગર મુઠ્ઠી સમા હૈયામાં,
પરમ હો પારાવાર, એમ કેમ લાગે છે ?

( હરકિસન જોષી )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.