ગાંઠ છૂટે તો-તુષાર શુક્લ

ગાંઠ છૂટે તો દોર ઢીલી થાય,
મોકળાશ વધે. ખુલ્લાપણું આવે. બંધન જાય.
તંગદિલી ઓછી થાય. મુક્તિ અનુભવાય. સત્ય સમજાય.

ગાંઠ છૂટવી સહેલી નથી.
પ્રામાણિક પ્રયત્નથી ઉકલી શકે
એવી દોરને આપણે જ ગૂંચવી મારીએ છીએ.

આપણો ઉત્સાહ, આપણી ઉતાવળ,
આપણી અણસમજ ગૂંચને ગૂંચવે છે.
ને ગૂંચાઈ ગયેલી ગૂંચ જ ગંઠાઈ જઈને ગાંઠ બને છે.

ગૂંચવણને એના આરંભે જ ઉકેલવી જોઈએ.
આ ઉકેલવામાં ઈચ્છા જોઈએ.
નિષ્ઠા જોઈએ-પ્રયત્ન જોઈએ.
સાતત્ય જોઈએ-સમજ જોઈએ.
આવડત જોઈએ.

તો ગૂંચ ગાંઠ બનીને ગંઠાતા પહેલાં જ ઉકલી જાય છે.
સહેલું નથી,
તો, અશક્ય પણ નથી !

( તુષાર શુક્લ )

Share this

2 replies on “ગાંઠ છૂટે તો-તુષાર શુક્લ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.