કશું કહેવું નથી-અનંત રાઠોડ “અનંત”

વરસો વરસથી ભીતરે ચાલી રહ્યા ઝગડા વિશે મારે કશું કહેવું નથી,
દરરોજ ચાલે જીવ સટોસટ યુધ્ધ એ ઘટના વિશે મારે કશું કહેવું નથી.

તૈયાર થઇને હોંશથી, સામાન લઇને સૌ સમયસર નીકળ્યા’તા ઘેરથી,
ને સ્હેજ માટે બસ ચૂકી ગ્યા એ બધા સપના વિશે મારે કશું કહેવું નથી.

શરણાઈ લઇને એક માણસ કોઈ પણ અવસર કે આમંત્રણ વગર આવ્યો હતો,
ને ગામમાં મુકતો ગયો એ મૌનનાં ભડકા વિશે મારે કશું કહેવું નથી.

મોટા ઘરોની દીકરીની જેમ એ આવે અને એકાદ ક્ષણ જોવા મળે,
એકાદ ક્ષણનાં એ ખુશીનાં ઠાઠ ને ભપકા વિશે મારે કશું કહેવું નથી.

( અનંત રાઠોડ “અનંત” )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.