ઓ સાથી!-બાબુલાલ ચાવડા ‘આતુર’

નરી આંખે નિહાળી છે, કૃપા પ્રગટી છે, ઓ સાથી!
ગગનના ગોખમાં ઝળહળ ઋચા પ્રગટી છે, ઓ સાથી!

રુંવાડાભેર આ હોવાપણું શ્લોકત્વ પામ્યું છે,
અતિશય આર્તનાદે વેદના પ્રગટી છે, ઓ સાથી!

ડચૂરો કંઠનો કેવો તરંગિત લય બન્યો છે જો!
ગઝલના વેશમાં આદિમ તૃષા પ્રગટી છે, ઓ સાથી!

અહો, ઊમટ્યાં છે કંઈ ગંધર્વ ને કિન્નરનાં ટોળાંઓ,
અજાણ્યાં વિસ્મયોની આવ-જા પ્રગટી છે, ઓ સાથી!

સમયના શુષ્ક વેરાને રઝળતા શ્વાસમાં અંતે,
નવેસરથી પુરાતન ભવ્યતા પ્રગટી છે, ઓ સાથી!

પ્રગટશે કંઈ નવું ’આતુર’ હવે આ સખ્યમાંથી પણ,
અહીં તું છે ને શબ્દોની લીલા પ્રગટી છે, ઓ સાથી!

( બાબુલાલ ચાવડા ‘આતુર’ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.