કેમ જીરવાશે ?-બાબુલાલ ચાવડા ‘આતુર’

હૃદયની રાંગ પર દેમાર લશ્કર કેમ જીરવાશે ?
શબદનાં શર કલેજે હે મુનિવર કેમ જીરવાશે ?

કમળના પાંદડે ઝાકળના અક્ષર કેમ જીરવાશે ?
તિમિરની પીઠમાં સૂરજનાં ખંજર કેમ જીરવાશે ?

ઉતરડીને ત્વચા હું વલ્કલો ધારણ કરી લઉં પણ,
જડેલા વૃક્ષ પર સ્મૃતિઓનાં બખ્તર કેમ જીરવાશે ?

પીડાના દ્વીપ વિસ્તરતા જશે જો આમ, દ્વૈપાયન ?
પછી ખોબોક જીવતરનો આ સમદર કેમ જીરવાશે ?

કદી સંશય બધા ટળશે, ઊકલશે ભેદ પણ સઘળા,
છતાં મૂંઝવણ વિનાનું મન તો આખર કેમ જીરવાશે ?

બનીને મૂકદ્રષ્ટા કેમ જોવાશે બધું ‘આતુર’!
જશે સૌ ઈન્દ્રિયો છોડીને એ ઘર કેમ જીરવાશે ?

( બાબુલાલ ચાવડા ‘આતુર’ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.