દર્શન…(એક નઝમ)-વીરુ પુરોહિત

કોઈ નિર્મળ, યશસ્વી રાજવી નિશા વેળા,
નગરચર્ચાનાં રહસ્યોથી ખિન્નતા ધારે !
હું સતત મૌનની ચાદર લપેટી ઘૂમું છું;
ના રહી દ્રશ્ય કે અદ્ર્શ્ય ભિન્નતા મારે !

સમગ્ર શહેરના ગવાક્ષો ! તમે કંઈ તો કહો;
કઈ તરફ તાનસેની રાગના આલાપ વહે ?
કઈ તરફ સ્તબ્ધતા ધારી ઊભા છે મૃગવૃંદો ?
કઈ તરફ પથ્થરો, કહો ને, પીગળીને વહે ?

કોણ ત્યાગી રહ્યું યશોધરા ‘ને રાહુલને ?
કોણ કર પાત્ર લઈ ભિખ્ખુ ભમે છે નગરે ?
ધરે છે ધ્યાન બોધિસત્વ નીચે કોણ ભલા ?
કોણ ચાહી રહ્યું છે સર્વને કૃપા નજરે ?

આ કોનાં રક્તનો પ્રવાહ થૈ ગયો છે સડક ?
કોણ ઠોકી રહ્યું છે અંગ પર અસંખ્ય ખીલા ?
કોણ સૂતું છે અહીં વૃક્ષ-થડે પીઠ દઈ ?
કોણ છોડે છે તીર ? કોણ કરે પૂર્ણ લીલા ?

આ ધરે કોણ વિષનું પાત્ર અને કોણ ગ્રહે ?
કોણ આ તરફડે છે ? કોણ એ અમૃત કરે ?
કોણ છાતીએ ધરી હાથ, મુખે ‘રામ’ વદે ?
આ કોનો હાથ ગોળી છોડીને અટ્ટહાસ્ય કરે ?

( વીરુ પુરોહિત )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.