મને લાગતું નથી-અદી મિર્ઝા

એનું ય દિલ દુખાય, મને લાગતું નથી,
કરશે એ કંઈ ઉપાય, મને લાગતું નથી.

વચમાં સમયના કેટલા અવરોધ છે પ્રભુ !
તારા સુધી અવાય, મને લાગતું નથી !

એનો પ્રભાવ જોઈને ચૂપ થૈ ગયા બધા !
એક પ્રશ્ન પણ પૂછાય, મને લાગતું નથી.

સુખ પણ ફરીથી આવશે, વિશ્વાસ છે મને,
પણ દુ:ખ હવે ભૂલાય, મને લાગતું નથી.

ઈન્સાન આખરે તો ઈન્સાન છે “અદી”
એ કંઈ ફરિશ્તો થાય, મને લાગતું નથી.

આંખોમાં કોઈ ચહેરો વસી જાય પણ ખરો,
દિલમાં કોઈ સમાય, મને લાગતું નથી.

( અદી મિર્ઝા )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.