એનું ય દિલ દુખાય, મને લાગતું નથી,
કરશે એ કંઈ ઉપાય, મને લાગતું નથી.
વચમાં સમયના કેટલા અવરોધ છે પ્રભુ !
તારા સુધી અવાય, મને લાગતું નથી !
એનો પ્રભાવ જોઈને ચૂપ થૈ ગયા બધા !
એક પ્રશ્ન પણ પૂછાય, મને લાગતું નથી.
સુખ પણ ફરીથી આવશે, વિશ્વાસ છે મને,
પણ દુ:ખ હવે ભૂલાય, મને લાગતું નથી.
ઈન્સાન આખરે તો ઈન્સાન છે “અદી”
એ કંઈ ફરિશ્તો થાય, મને લાગતું નથી.
આંખોમાં કોઈ ચહેરો વસી જાય પણ ખરો,
દિલમાં કોઈ સમાય, મને લાગતું નથી.
( અદી મિર્ઝા )