પંખીપણું-કૃષ્ણ દવે

એક પણ વળગણ નથી ને ? એટલે તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું,
સહેજ પણ સમજણ નથી ને ? એટલે તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું.

એ જરૂરી છે જ નહીં કે
રોજ એની એ જ ડાળી પર ફરી પાછા જવું, ને આમ મારે-
કોઈ એક જ ઘર અને આંગણ નથી ને ?
એટલે તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું.

એક ભીનો આવકારો આંખમાં રોપી
લીલીછમ રાહ જોતા વૃક્ષની પાસે જવાના-
આવવાના કોઈ પણ કારણ નથી ને ?
એટલે તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું.

પંથ આખો છે હવાનો એટલે હળવા થવાનો,
ને જુઓ આ પંથ માટે-
કોઈ નિયમો કોઈ બંધારણ નથી ને ?
એટલે તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું.

આ ગણતરીના લબાચાને અહીં નીચે મૂકી ને
પાંખ બે વિશ્વાસની પહેરી જરા ઊડી જુએ ને તો જ-
સમજાશે તને કે ક્યાંય પંખીપણામાં એક બે કે ત્રણ નથી ને?
એટલે તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું.

( કૃષ્ણ દવે )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.