ભીંતો જ ચોતરફ હો તો આરપાર શું છે ?
ખડકી પૂછે ગલીને કે બારોબાર શું છે ?
અત્તરનાં ફૂલ જ્યારે ડાળી ઉપર ઝૂકે તો,
પૂછે પવન તરત કે ખુશબોનો ભાર શું છે ?
નફરત કરે છે તેને પજવે છે પ્રશ્ન એક જ,
મજનૂની વારતામાં આ પ્યારબ્યાર શું છે ?
હું પ્રેમની પછેડી વણતો રહું નિરંતર,
પણ ફરફરે પવનમાં એ તારતાર શું છે ?
તું કોઈ પણ પ્રહરમાં ગાજે ઉલટથી ગીતો,
મહોલ નહિ પૂછે કે દીપક-મલ્હાર શું છે ?
હું તો અગમનિગમની વાતોને કેમ સમજું,
આ પાર તું નથી તો પેલે પાર શું છે ?
શેખે કહ્યું નહીં તો દરવેશને પૂછી લ્યો,
જીવનનો મંત્ર શું છે ? મૃત્યુનો સાર શું છે ?
વીંઝાય તેની પહેલાં બે વાર એ વિચારે,
તલવારને ખબર છે લોહીની ધાર શું છે ?
ગ્રંથોમાં ‘રાહી’ સાચા ઉત્તર કદી મળ્યા નહિ,
શ્રદ્ધા કે આસ્થા કે આ ઐતેબાર શું છે ?
( એસ. એસ. રાહી )