રાધાએ કૃષ્ણને કાનમાં જઈ કીધું અલ્યા કર્યા તે કેવા ગોટાળા-
કે તારા મંદિરને લાગી ગયા તાળા?
ચોરી કરવાની તારી ટેવ છે જૂની, કામ તારા છે પહેલેથી જ કાળા
કે તારા મંદિરને લાગી ગયા તાળા.
માખણની મટકીઓ ફોડતો તું તે છતાં થાતી અમે સૌ ઈમ્પ્રેસ,
કપડા અમારા તે ચોર્યા હતા ને તોય, કર્યો ન’તો તારા પર કેસ;
ગોપીઓ સમાન ના હોય બધી ભોળી, કર્યા હશે તે કૈંક ચાળા
કે તારા મંદિરને લાગી ગયા તાળા.
ક્રિકેટના સટ્ટામાં હારી ગયો કે જોવા ગયો તો તું ઘોડાની રેસ,
શામળશા શેઠની ઊઠી ગઈ પેઢી કે બદલાવી નાખ્યું એડ્રેસ;
મોબાઈલના સમ તને સાચું તું બોલજે, શું કામ કર્યા છે છોગાળા?
કે તારા મંદિરને લાગી ગયા તાળા.
ઊઠી નથી અને ઊઠશે પણ નહીં આ શામળશા શેઠની પેઢી,
પણ ગામડા ને શે’રની, શેરી ને ગલીઓમાં ગાયું રખડે છે સાવ રેઢી;
માણસના પાપ વધ્યા તેથી તેને દૂધ નહિ પીવા પડે છે ઉકાળા.
તેથી મંદિરને લાગી ગયા તાળા.
( જયપ્રકાશ સંતોકી )