નામ, રસ્તો ને નગર છોડી દઈએ, તો તમે રાજી ?
હોય ઈચ્છા તોય પાછા ના વળીએ, તો તમે રાજી ?
.
આપણા કિસ્સા વિશે કંઈ જાણવા ચાહે અગર કોઈ,
રણ, હરણ ને ઝાંઝવાં-એવું કહીએ, તો તમે રાજી ?
.
દિલ તમે તોડી શકો નૈં, એવું માને છે અહીંયાં સહુ,
જો અમે એ વાતમાં ખોટા પડીએ, તો તમે રાજી ?
.
મૃત્યુથી મોટી સજા આપી તમે એવું કહેવાશે,
તો હવેથી એકલાં જીવ્યાં કરીએ, તો તમે રાજી ?
.
હક જતાવી માંગ્યું પહેલીવાર કૈં, એમાં અમે રાજી,
હા, હવે રાજી થવું છોડી દઈએ, તો તમે રાજી ?
.
( રિન્કુ રાઠોડ “શર્વરી” )