પ્રાસંગિક

સંબંધ…. – મીરાં પટેલ

.

આ સંબંધ એટલે શું ?

.
બે મન, હૃદયરૂપી વિચારધારા ને, ઉર્મિઓ રૂપી કિનારા ને એક કરે એવો ‘બંધ’ એટલે સંબંધ…

 .

જેમની વચ્ચે સમાન લાગણીઓની ધારા વહે છે..

 .

શું, આપણે જેની જેની સાથે જે પણ સંબંધથી જોડાયેલ છીએ ત્યાં સમાન વિચારધારા ને લાગણીઓનું  વહન છે ? ઘરથી શરુઆત કરી શેરી, ફળી, સોસાયટીમાં આવીએ.. અહીં ઘરની ચાર દિવાલો વચ્ચે સંબંધ રોજ રોજ મરે છે.. પડોશમાં એક બીજાની ટિકા ટિપ્પણમાંથી જ નવરાશ નથી.. બાજુમાં ના રહેતા હોય પણ…. મહોલ્લાને છેડે આવેલ ઘરની વાતો કરીને પણ હાશકારો નથી થતો.. એક ઘર ગામના એક છેડે હોય અને બીજું ઘર ગામના બીજા છેવાડે હોય તોય… પેલીએ આમ કર્યું ને પેલા એ તેમ કર્યું… દિવાળી આવી ને, જતી પણ રહેશે.. કેટલાય મેળાવડા સંબંધીઓના અને દોસ્તારોના થશે… ત્યારે પણ, આનું આ જ… કોણ શું કરે છે ને, શું પહેરે ઓઢે છે… કોણે શું નવુ વસાવ્યું ને શું નથી વસાવી શક્યું …

 .

સંબંધોની ઔપચારિકતા વચ્ચે હૃદયની ઉષ્મા ખોવાઇ ગઇ છે… સંબંધનો બંધ બંધાઇ જાય પણ, હૃદય ઉર્મિઓનો વિનિમય વારંવાર થતા નેટવર્કની પ્રોબ્લેમની જેમ ખોરવાઇ જાય છે.. સતત સંબંધો માવજત અને ખુલાસા માંગતા ફરે છે… અને, તો જ જાણે ટકી શકે… પણ, ખુલાસા કરવા પડે તે સંબંધ કહેવાય ? સંબંધ નો બંધ તો એક અદિઠ સમજદારીના તંતુ થી જોડાયેલ છે.. ને, અજાણપણે આ તંતુ જ તુટી જાય છે છતા સંબંધ ને ગુંગળાવી ગુંગળાવી… કૃત્રિમ લાગણીઓનો ઑક્સિજન આપી જીવાડવાની નિર્દોષ રમત એકબીજા સાથે કરતા હોઇએ છીએ..

.

કહીશું કે, કલિયુગનો પ્રભાવ ચાલે છે… એટલે આમ સ્થિતિ છે… પણ, ભીતરની સમજણને કોઇ યુગ ક્યારેય નડ્યો નથી… જો એમ જ હોત તો રામ વખતે કૈકેયી અને વિભિષણ ના હોત… ને કૃષ્ણ વખતે, યશોદા(જે જન્મ દાતા નથી) અને કુંતિ(જે કર્ણની જન્મ દાતા છે)ના હોત…

 .

ચાલો, બહાનાબાજી છોડીએ અને નવા વર્ષની શરુઆતને પ્રેમથી વધાવીએ.. એક વૈશ્વિક પ્રેમને ભીતર સમેટી… ઉંચ-નીચ, અમીર-ગરીબ, કુરુપ-સુરુપ, ને, ધર્મને નામે થતી અનેક સાપેક્ષતા છોડી સાચા અર્થમા સંબંધોનો વિકાસ કરી સમાન સમજણ ધરાવતા સમાજને બનાવવામા યોગદાન દઇએ..

 .

સૌને નવા વર્ષની શુભકામના સહ..

 .

( મીરાં પટેલ )

Share

આનંદ આપે એ ક્ષણ દિવાળી… – સુરેશ દલાલ

.

પ્રત્યેક પ્રજાને પોતાનું નવું વર્ષ હોય છે અને એને ઊજવવાની નવી નોખી રીત હોય છે.

નાતાલમાં ક્રિસમસ ટ્રીનો મહિમા હોય છે. બાળકોને માટે સાન્તાક્લોઝ હોય છે. આપણે પરંપરાને નિભાવીએ છીએ ખરા. પણ પરંપરાના પોતને પૂર્ણપણે જાણતા નથી. દિવાળી એટલે વર્ષનો અંત અને દિવાળી પછીનો દિવસ એટલે નવા વર્ષનો આરંભ.

એક રીતે જોઈએ તો દિવાળી આત્મનિરીક્ષણની વસ્તુ છે. ગયે વર્ષે આપણે કયા કયા મનોરથ કર્યા હતા અને કયા કયા કામ પાર પાડી શક્યા એનું સ્ટોકટેકિંગ કરવું જોઈએ. આપણે કોને માટે કશુંક કરી શક્યા કે કોની જોડે ખરાબ રીતે વર્ત્યા એ પણ આપણે અંદરથી જાણવું જોઈએ અને જો આપણી ભૂલ હોય તો એને સુધારી લેવી જોઈએ. દિવાળીનો અર્થ તો એક જ છે કે જ્યાં અંધારું હોય ત્યાં દીવો કરો. માત્ર દીવો નહીં. દીવાઓની હારમાળા કરો. દિવાળી શબ્દ દીપાવલિ પરથી આવ્યો. દીપાવલિ એટલે દીવાની હારમાળા.

આપણે ત્યાં એમ કહેવાય છે કે વનવાસ વેઠીને રામ અયોધ્યા આવ્યા ત્યારે નગરજનોએ ઘરે ઘરે દીવા પ્રગટાવીને અજવાળાંનો ઉત્સવ મનાવ્યો હતો અને આખું અયોધ્યા તેજનાં તોરણથી સુશોભિત થઈ ગયું હતું. આપણા આયુષ્યની અયોધ્યામાં પણ આપણા રામનું ફરી પાછું આગમન થાય અને આપણી બધી જ ચિંતા, આપણી એકલતા, આપણો વિષાદ, આપણા પૂર્વગ્રહો, આપણો ક્રોધ-આ બધાનું પરિવર્તન થાય અને આપણે સુખ, શાંતિ અને ચેનથી રહીએ. આપણને અંદરથી કોઈ અછત ન લાગવી જોઈએ. મન ભરેલું અને સંતોષી હોય તો જીવનમાં જ્યાં જુઓ ત્યાં પ્રકાશ છે. જ્યાં અજવાળું છે ત્યાં હંમેશાં દિવાળી જ હોય છે.

ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના ધ સ્પીકિંગ ટ્રીમાં એક કથા પ્રગટ થઈ હતી. એમાં દ્વાપરયુગની વાત છે. કૃષ્ણએ તો વિષ્ણુનો અવતાર. એ રાક્ષસ નરાકસુરનો નાશ કરવા માટે સત્યભામા સાથે યુદ્ધભૂમિ પર નીકળી પડ્યા. નરકાસુર એ વખતે કૃષ્ણની સોળ હજાર કુંવારીઓને બંદીવાન કરીને બેઠો હતો. નરકાસુરે પોતાની બધી શક્તિ કૃષ્ણ પર અજમાવી, પણ ન ફાવ્યો. અંતે કૃષ્ણએ સુદર્શનચક્રથી નરકાસુરને હણી નાખ્યો. કુંવારીઓએ કૃષ્ણને સત્યભામા સાથે જોયો ત્યારે એમણે કૃષ્ણને વિનંતી કરી કે તમે સત્યભામા સાથે લગ્ન કરો. દ્વારકામાં જ્યારે કૃષ્ણ પધાર્યા ત્યારે કૃષ્ણનાં લગ્ન થયાં. પ્રજાની ઈચ્છાપૂર્તિ થઈ. આમ દિવાળી સાથે અનેક કથા જોડાયેલી છે.

દિવાળી દરેકની જુદી હોઈ શકે. મારી દિવાળી હું મારી રીતે ઊજવું છું. કોઈક સારી કવિતા વાંચું કે કાવ્યનો અનુવાદ કરું તોય મને દિવાળી જેવું લાગે. દિવાળી મારે માટે કોઈ એક જ દિવસ નથી, પણ જે ક્ષણે આનંદ આવે એ દિવાળી છે. આપણે આપણા કેટલાય અહંકારને ઊંચકીને ચાલતા હોઈએ. પણ જે ઘડીએ આપણે આપણા અહમથી મુક્તિ પામીએ ત્યારે મારે માટે દિવાળી છે. જીવનમાં બધું મળે છે. પણ સમજદાર માણસો મળતા નથી. જે ક્ષણે આપણને કોઈ સમજદાર માણસ મળે-ભલે એ આપણી વાતને સ્વીકારે નહીં, પણ સમજે ત્યારે મને દિવાળી જેવું લાગે છે. આપણે અમુક પ્રકારના સાચા કે કલ્પિત ભયથી પીડાતા હોઈએ છીએ. ભયનું અંધારું આપણને ઘેરી વળ્યું હોય ત્યારે એમાંથી નિર્ભયતા તરફ ગતિ કરીએ એ બીજું કશું જ નથી, પણ દિવાળી જ છે.

મોટા ભાગના માણસો જીવનમાં આળસુ અને એદીની જેમ પડ્યા હોય છે. એમને કશું કરવાનું સૂઝતું નથી, જે માણસ કાર્યશીલ રહે એને દિવાળી ઉજવવાનો અધિકાર છે. જે માણસ જીવનમાંથી રસ ગુમાવી બેસે છે અને નીરસ થઈને ફરે છે, બીજા માણસમાં રસ લેતો નથી, સ્વાર્થી અને એકલપેટો થાય છે એ માણસ-ભલે એના ડ્રોઈંગરૂમમાં હાજરો ઝુમ્મર લટકતાં હોય તો પણ અંદરથી તો એના મનમાં અંધારું જ હોય છે. જે માણસ પોતાની માટે કમાય છે એ ધન છે, પણ જ્યારે એને સમજાય છે કે મારું ધન હું બીજામાં વહેંચું ત્યારે એ લક્ષ્મી થાય છે. ત્યારે એના ધનની સદ્દગતિ થાય છે. હું તો માનું છું કે સમજણપૂર્વકની સમાજસેવામાં ધનતેરસ, દિવાળી અને નવા વર્ષના તમામ સંકલ્પો સદાયને માટે સમાઈ જાય છે.

એક જમાનામાં લોકો દર વરસે કંઈક ને કંઈક સંકલ્પ કરતા. દાખલા તરીકે, ગાંધીયુગમાં મોટા ભાગના લોકો રોજ ડાયરી લખતા. કેટલાક અધવચ્ચે છોડી દેતા હશે. કોઈ પણ સંકલ્પ ન કરવો એના કરતાં એકાદ સંકલ્પ કરવો એ સારી વાત છે-એ દિવાળી જેટલી જ ઊજળી વાત છે.

( સુરેશ દલાલ )

Share

સુરેશ દલાલને શ્રદ્ધાંજલિ

.

શ્રીકૃષ્ણનો આ ધરતી પર અવતરવાનો સમય થઈ રહ્યો હતો ત્યારે એક તરફ ટી.વી. પર દ્વારકાના જગતમંદિરનું લાઈવ પ્રસારણ ચાલુ કર્યું અને બીજી તરફ ઈન્ટરનેટ ચાલુ કર્યું તો જિજ્ઞેશભાઈ અધ્યારુનો ઈ-મેઈલ મળ્યો કે “હમણાં જ પ્રાપ્ત થયેલ અત્યંત દુ:ખદ સમાચાર અનુસાર આજે સાંજે શ્રી સુરેશભાઈ દલાલનું નિધન થયું છે.” ત્યાં વળી રજનીભાઈનો પણ મેસેજ આવ્યોકે “કવિ-વિવેચક-સંપાદક-પ્રકાશકશ્રી. ‘સુ.દ.’નું શ્રાવણ ‘વદ’ આઠમ પર અવસાન.

 .

શું લખું તે જ મને તો સમજ નથી પડતી. સુરેશભાઈ સાથે મારે વ્યક્તિગત રીતે કોઈ જ પરિચય ન્હોતો. એક વાચક અને ભાવક તરીકેનો નાતો. એમના લખાણો મારા હૃદયની ખૂબ જ નજીક હતા, છે અને રહેશે.

.

કૃષ્ણ પર એમણે વિપુલ પ્રમાણમાં લખ્યું તે પછી કવિતા હોય કે ઝલક હોય કે પ્રાર્થના. અને આજે જન્માષ્ટમીના દિવસે જ તેઓ કૃષ્ણમાં સમાઈ ગયા. કદાચ કૃષ્ણને પણ એમના અવાજમાં કૃષ્ણગીતો સાંભળવા હશે એટલે પોતાની પાસે બોલાવી લીધા.

 .

કવિ અને લેખક તરીકે એમણે ઉત્તમ કક્ષાનું વિપુલ પ્રમાણમાં સર્જન કર્યું. ગણી ગણાય નહીં એટલી બધી કવિતાઓ અને એટલા બધા પુસ્તકો. અઢળક. અને તોય લોકભોગ્ય ભાષામાં. સરળ ભાષામાં ઉંચા અને ઉમદા વિચારોને રજૂ કરી છેક છેવાડાના માણસ સુધી પહોંચાડ્યા. આ રીતે લોકો સુધી પહોંચવા માટે એમની પાસે બે પ્રબળ માધ્યમો હતા…કવિતા અને ઈમેજ પબ્લિકેશન. ‘ઈમેજ’ના માધ્યમથી એમણે પ્રકાશક, સંપાદક અને અનુવાદક તરીકે જે પુસ્તકો આપ્યા એ બધા જ ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ સમાન બની રહ્યા છે. એમના સંપાદનો દરેક વખતે વિવિધતા ભરેલા રહ્યા છે. આ ઉપરાંત એમણે કેટલાયે નવોદિતોને બનાવ્યા છે, પ્રોત્સાહિત કર્યા છે, પ્રેર્યા છે, તક આપી છે, ઘડ્યા છે અને એમના પછીની બીજી પેઢી તૈયાર કરી છે.

 .

પણ સુરેશ દલાલ એટલે સુરેશ દલાલ જ. એમના ન રહેવાથી ગુજરાતી સાહિત્યમાં જે શૂન્યાવકાશ સર્જાશે તે ગમે એટલા પ્રયત્નો પછી પણ નહીં પૂરી શકાય.

 .

“મોરપીંછ” એમના પ્રિય કવિ-લેખકને હાર્દિક શ્રદ્ધાંજલિ અને શબ્દાંજલિ આપે છે..

 .

સુરેશભાઈ તમે જ લખ્યું હતું….

મૃત્યુ પછી

કાવ્યમાં

કવિ જીવે છે સુખથી.

*

રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ !

સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકળિયું ગામ !

*

મને ઘૂઘવતા જળે ખડકનું પ્રભુ ! મૌન દો !

*

કંઈ કેટલા નામનો ઊછળે મારે આંગણ દરિયો:

એમાં એક જ નામ તમારું નાવ થઈને મ્હાલે !

*

તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી

મને સૂતીને સપને જગાડ્યા કરી.

*

રાતદિવસનો રસ્તો વ્હાલમ નહીં તો ખૂટે કેમ ?

તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ.

*

મંદિર સાથે પરણી મીરાં, રાજમહલથી છૂટી રે:

કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે !

*

હવે નવા નવા સંબંધો બાંધવા નથી
મારે તુટેલા ધાગાઓ સાંધવા નથી

*

મને લાગે નહીં ક્યાંય કશું એકલું,

મને મારું એકાન્ત ગમે એટલું !

*

અમે એવા છઈએ : અમે એવા છઈએ

તમે માછલી માગો ને અમે દરિયો દઈએ.

*

મૃત્યુ જેટલું મોટું પૂર્ણવિરામ કોઈ નથી.

શબ પર ફૂલ મૂકીએ છીએ

એ પહેલાં

હૃદયમાં પથ્થર મૂકવો પડે છે.

*

આપણે આપણી રીત રહેવું :

ખડક થવું હોય તો ખડક : નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !

*

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?

કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?

*

પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ..

આભમાં જોને કેટલાં વાદળ… એટલો પાગલ…

*

પંખીના ટહુકાથી ઊઘડે એવું

વહેલી સવારનું મૌન મને આપો

*

હું સાવ અજાણ્યો યાત્રી !

ક્યાંથી આવ્યો, ક્યાં હું ચાલ્યો, નહીં ખબર કે ખાત્રી.

*

હું વિદૂષક છું એમાં કોઈ શંકા નથી

આંસુઓ રૂમાલથી લૂછવાનાં નથી હોતાં

એટલે હાસ્યથી લૂછી લઉં છું.

*

હજાર વચ્ચે રહેવું નથી મારે બજાર વચ્ચે રહેવું નથી

મને ગુરુ મળ્યા છે ક્ષણમાં

નીરવ એમના મૌનમાત્રથી ગુલાબ ખીલ્યાં છે રણમાં.

*

મોરપિચ્છની રજાઈ ઓઢી

તમે સૂઓને શ્યામ,

અમને થાય પછી આરામ…

*

રમવું હોય તો રમજો રાજા ! ખુલ્લી બાજી રાખીને.

છાનગપતિયાં કરવાં એ તો શોભે નહીં અલગારીને.

*

અને છેલ્લે…

અમને માયા લગાડીને, છાયા ઉઠાવીને

મનગમતો માણસ એક ચાલ્યો ગયો.

લય-તાલે ઝૂલતો, સરવર જેમ ખૂલતો

ગુનગુનતો માણસ એક ચાલ્યો ગયો.

સ્મિત ભીનું મૂકીને, આંસુઓ લૂંટીને

હણહણતો માણસ એક ચાલ્યો ગયો.

રણઝણતા ગીત મહીં, પાગલ આ પ્રીત અહીં

થનગનતો માણસ એક ચાલ્યો ગયો.

.

[આ સાઈટ બનાવી ત્યારે સાઈડ પરના વિજેટમાં ‘શેરબજાર’ નામનું એક વિજેટ બનાવ્યું છે જેમાં કાવ્યપંક્તિઓ મૂકું છું. ‘શેરબજાર’ નામ લખતી વખતે મનમાં પ્રશ્ન થયો કે ‘શેરબજાર’ આવ્યું ક્યાં ? તો મુંબઈમાં ‘દલાલ સ્ટ્રીટ’માં. દલાલ કોણ ? તો સુરેશ દલાલ. એમાંથી મેં બીજા વિજેટને નામ આપ્યું છે ‘દલાલ સ્ટ્રીટ’ અને એમાં સુરેશભાઈની રચનાઓ મૂકું છું.]

.

હિના પારેખ “મનમૌજી”

Share

વલસાડના અવ્વલ અનાવિલ… – ગુણવંત શાહ

.

વલસાડના અવ્વલ અનાવિલ…

 .

એક જમાનામાં સુરતના ત્રણ નન્ના જાણીતા હતા : નર્મદ, નવલરામ અને નંદશંકર. દક્ષિણ ગુજરાતના અનાવિલોના ત્રણ મમ્મા કોણ ?

 .

જવાબ છે : મોનજી રુદર, મહાદેવ દેસાઈ અને મોરારજી દેસાઈ. ચોથા મ મૂકવા હોય તો ગોસેવક મણિભાઈ દેસાઈને યાદ કરવા રહ્યા.

 .

અનાવિલની વ્યાખ્યા શી ?

 .

જે માણસ તમને પંપાળતો હોય તોય નખોરિયાં ભરે છે એવું લાગે એને અનાવિલ જાણવો. મોરારજીભાઈ અનાવિલ હતા.

 .

કેટલાક માણસોની પર્સનાલિટી જ જરા વિશિષ્ટ હોય છે. એ પ્રશંસા કરવામાં કાયમ કરકસર કરે, પરંતુ ટીકા કરવામાં વાર ન લગાડે. એ સદ્દભાવ પ્રગટ કરવામાં વિલંબ કરે, પરંતુ અણગમો તરત પ્રગટ કરે. એ કોઈનો ઝટ સ્વીકાર ન કરે, પરંતુ એને દૂર કરવામાં ઉતાવળ કરે. મોરારજીભાઈ સામેવાળાને સ્નેહ કરતા હોય તોય એ માણસને તે વાતની ખબર ન પડે. વાણી કઠોર હતી એથી કાયમ એ શત્રુ ઉછેર કેન્દ્રના માલિક બની રહ્યા. શાસન (ગવર્નન્સ) કેમ કરવું એની સૂક્ષ્મ સમજ એમની પાસે હતી. એમની પાસે યોગ્ય નિર્ણય ઝડપથી લેવાનું સામર્થ્ય હતું. આવી શક્તિ ધરાવનારા દશરથના વિશ્વાસુ સુમન્ત્ર માટે વાલ્મીકિ રામાયણમાં ત્વરિતવિક્રમ: શબ્દપ્રયોગ થયો છે.

 .

વડા પ્રધાન મટી ગયા પછી એ મરીન ડ્રાઈવ પર આવેલા ઓસિયાના ફ્લેટમાં રહેતા હતા. પાકિસ્તાનના સરમુખત્યાચાર જનરલ ઝિયા સાથે એમનો સંબંધ સારો હતો. બન્ને વચ્ચે ટેલિફોન પર લાંબી વાતચીત થતી. ઈરાનના શાહને પણ મોરારજીભાઈ માટે ખૂબ આદર. પાકિસ્તાનનો સર્વોચ્ચ એવોર્ડ નિશાન-એ-પાકિસ્તાન મોરારજીભાઈને નિવૃત્તિ દરમ્યાન મળ્યો. એ સ્વીકારવા માટે એ પાકિસ્તાન જવા તૈયાર ન થયા. એ સમયગાળામાં હું વારંવાર મોરારજીભાઈને મળવા જતો.

 .

લાગ જોઈને મેં મોરારજીભાઈને પૂછ્યું :

 .

‘આપે પાકિસ્તાન જવાની ના કેમ પાડી ?’

 .

એમનો પ્રતિભાવ એક જવાબદાર અને રુઆબદાર રાષ્ટ્રપુરુષને શોભે એવો હતો. એમણે કહ્યું :

 .

‘હું પાકિસ્તાન જાઉં તો પત્રકારો મોમાં આંગળાં નાખીને મારી પાસે ઈન્દિરા ગાંધીની વિરુદ્ધ બોલાવડાવે. મારે મારા દેશના વડા પ્રધાનની નિંદા પરદેશની ધરતી પરથી કરવી નહોતી. વળી હું ઈન્દિરાની ખોટી પ્રશંસા કરું કે એમનો બચાવ કરું તો મારે જૂઠું બોલવું પડે ! માટે મેં જવાની ના પાડી.’

 .

ભારતને આવો શીલવાન વડા પ્રધાન ક્યારે મળશે ? રાજકારણી હોય એને જૂઠું ન બોલવાનું પોસાય ?

 .

અશોક શાહ નામના યુવાનને મેડિકલમાં પ્રવેશ મળ્યો. એ યુવાને તે વખતના નાણાપ્રધાન મોરારજીભાઈને પત્ર લખીને આર્થિક મદદ કરવા વિનંતી કરી. મોરારજીભાઈએ પર્સનલ એકાઉન્ટમાંથી તરત જરૂરી રકમ મોકલી આપી. આજે એ યુવાન ન્યુયોર્ક રાજ્યના રોચેસ્ટર શહેરમાં પેટના રોગોના નિષ્ણાત તરીકે દાક્તરી સેવા આપી રહ્યો છે. હું અશોકભાઈને ઘરે ત્રણ વાર જઈ આવ્યો છું. એ આદરણીય મોરારીબાપુના ભક્ત છે.

 .

એક અંગત પ્રસંગની વાત કરું ?

 .

હું ત્યારે સુરતની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણ વિભાગમાં પ્રોફેસર અને હેડ હતો. મોરારજીભાઈ ડુમસ આવે ત્યારે હું એમને અચૂક મળવા જતો. સુરતના નગરજનો મોટી સંખ્યામાં મારાં ગીતા-પ્રવચનો સાંભળવા માટે આવી પહોંચતા. ડુમસ જઈને મારા પ્રવચનમાં ઉપસ્થિત રહીને ગીતાના તત્વજ્ઞાન અંગે બે શબ્દો શ્રોતાઓને કહેવાની મેં મોરારજીભાઈને વિનંતી કરી. એનો સ્વીકર કરીને એમણે આપેલા સમયે સુરતના જીવનભારતી હોલમાં ઉપસ્થિત થયા અને બોલ્યા. એ ૯ ઓક્ટોબર, ૧૯૮૩નો દિવસ મારે માટે અને સુરતીઓ માટે યાદગાર બની ગયો !

.

એમના જેવા સ્વચ્છ રાજપુરુષ હવે દીવો લઈને શોધવા જઈએ તો પણ જડે એમ નથી. આજે તો ઠેર ઠેર તમને દિગ્વિજયસિંહ જ મળવાના ! સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં લોકસભામાં નાણાપ્રધાન તરીકે નવ-નવ વાર બજેટ રજૂ કરવાનો વિક્રમ હજી મોરારજીભાઈના નામે છે. એમની પર્સનાલિટી અત્યંત પ્રભાવશાળી હતી.

 .

મોરારજીભાઈને શત્રુ પેદા કરવાની ઉતાવળ રહેતી. જો એ મધુરભાષી હોત તો નહેરુ પછી જરૂર ભારતના વડા પ્રધાન બન્યા હોત. કડવાં વેણ ઉચ્ચારવાં એ એમની હોબી હતી શું ?

 .

એ આખાબોલા હતા એથી બોલતી વખતે આખા ને આખા (ઈન્ટિગ્રેટેડ) રહી શકતા હતા. વડા પ્રધાન હતા ત્યારે ઉત્તર ભારતના કોઈ શહેરમાં એમનું જાહેર પ્રવચન થયું ત્યારે એક પત્રકારે કહ્યું :

 .

સર ! તમારું પ્રવચન ઉત્તમ હતું. તરત જ મોરારજીભાઈએ એ પત્રકારને કહ્યું :

 .

‘વડા પ્રધાનો ક્યારે પણ નબળું પ્રવચન કરતા નથી.’

 .

એમના જવાબમાં રહેલી તેજલ ધાર સમજવા જેવી છે.

 .

( ગુણવંત શાહ )

 

Share
Powered By Indic IME