વાર્તા/નવલિકા/પ્રસંગકથા/આર્ષવાણી

ઝંખના – પલ્લવી શાહ (Happy Valentine’s Day)

.

મારાથી તારા વગર રહેવાતું નથી. સમાવી લે મને તારામાં. તારા વિશાળ વક્ષસ્થળમાં હું મારું માથું મૂકું અને તારો હાથ મારા માથે ફરતો હોયને એક મધુર શાંતિ અંગે અંગમાં વ્યાપી જાય. હું ચિરનિંદ્રામાં પોઢી જાઉં. જ્યારે ઉષાના રંગો ફેલાયેલા હોય ત્યારે હું પડી રહું અને તું નિ:શબ્દ થઈ તારી આંખોમાંથી મારી ઉપર અમી છાંટણાં કરતો હોય અને હું આંખો બંધ રાખી તારા અમી છાંટણાંનું અમૃત પીતી જાઉં. આ બધી ઈચ્છાઓ મને થાય છે કારણ કે હું તને ખુબ ખુબ પ્રેમ કરું છું અને ખરેખર આંખો બંધ રાખીને હું પથારીમાં પડી છું. આંખો ખોલતાં ડર લાગે છે કે જો હું આંખો ખોલીશ તો જે નિકટતા આંખો બંધ રાખીને અનુભવું છું તે ખુલ્લી આંખે દૂર નહિ થઈ જાય ને ?

.

.

હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને એ પ્રેમનું ગીત ગાતાં ગાતાં ક્યારેક પંખી બનીને ગગનમાં મુક્તવિહાર કરવા લાગું છું, તો ક્યારેક હવાના રેલાતા સૂર સાથે મારા તાલ મેળવવા પ્રયત્ન કરું છું. ક્યારેક પગમાં ઘૂંઘરું બાંધી એક લય પર અટલ રહી, તારામાં એકરૂપ થવાનો પ્રયત્ન કરું છું. તો ક્યારેક ચાતક બની તારા વરસવાની રાહ જો ઉં છું. તો ક્યારેક મોર બની થનગનાટ કરું છું. મારું મન મારા કહ્યામાં નથી અને મારું હૃદય તને અને ફક્ત તને જ ઝંખે છે. ચાલને આપણે હાથ પરોવી સમુદ્રની આ મીઠી મીઠી લહરો ઉપર આપણાં નામ કોતરીએ. આવીશ ને ?

.

.

આ રંગબેરંગી દુનિયા અને રંગબેરંગી ઉત્સવ. ચારે તરફ ઉત્સવ-પર્વ. ચાલને આજે આપણે પણ આપણા મિલનનો ઉત્સવ ઉજવીએ. પણ એમાં આપણે બે અને ફક્ત આપણે બે જ રહીશું. તું મારી સામે બેઠો હશે અને હું મારા પગમાં ઘૂંઘરું બાંધી નૃત્ય કરીશ અને તું તારા નયનોની સુરાહીમાં મને ભર્યા કરજે. રાત્રે શીતળ ચાંદનીનાં પ્રકાશમાં આપણે બંને બારીએ ઉભાં રહીશું અને એકબીજાને આપણા મિલનની વધામણી આપશું ત્યાં અચાનક એક તારો ખરશે અને આપણે ઈચ્છા ધારણ કરીશું. આપણા પ્રથમ મિલનનો આ ઉત્સવ દરેક દિન, દરેક પળને ઉત્સવ બની રહેશે.

 .

( પલ્લવી શાહ )

Share

શ્રદ્ધા અને ધીરજ – સ્વામી વિવેકાનંદ

[ સ્વામી વિવેકાનંદની ૧૫૦ મી જન્મજયંતી નિમિત્તે સ્વામીજીના શબ્દોમાં એક પ્રેરણાદાયક બાળવાર્તા મૂકું છું. આ અગાઉ આ સાઈટ પર અન્ય એક બાળવાર્તા "ગોપાળનો મિત્ર" પોસ્ટ થઈ હતી. જેના રચનાકાર પણ સ્વામી વિવેકાનંદ જ હતા. જે વાચકો એ વાર્તા વાંચવાનું ચૂકી ગયા છે એમના માટે આ સાથે લીંક મૂકું છું.

http://heenaparekh.com/2009/07/20/gopal-no-mitra-1/

http://heenaparekh.com/2009/07/21/gopal-no-mitra-2/

આશા રાખું છું વાચકોને ગમશે. ]

.

નારદ એક દેવર્ષિ હતા. નારદ મહાન યોગી હતા અને એ બધે સ્થળે વિહરતા.

એક દિવસ નારદ મુનિ વનમાંથી પસાર થતા હતા. ત્યારે એમણે એક માણસ જોયો તે ધ્યાન કરી રહ્યો હતો. એટલા બધા સમયથી એક જ સ્થિતિમાં એ ધ્યાન ધરી રહ્યો હતો કે એના શરીરની આસપાસ ઊધઈનો મોટો રાફડો થઈ ગયેલો.

એ માણસે નારદ મુનિને પૂછ્યું : “હે નારદ ઋષિ, આપ ક્યાં જાઓ છો ?”

નારદે કહ્યું : “વૈકુંઠમાં જાઉં છું.”

પેલો માણસ કહે : “તો ભગવાનને પૂછજો કે તેઓ મારા પર ક્યારે કૃપા કરશે ? મને ક્યારે મુક્તિ મળશે ?”

આગળ જતાં નારદે બીજા માણસને જોયો.એ મસ્તીમાં નાચતોકૂદતો ગાતો હતો.

એ માણસે પૂછ્યું : “હે નારદ ઋષિ, તમારી સવારી ક્યાં ઊપડી છે ?”

એ માણસનો અવાજ અને બોલવા-ચાલવાની એની રીત ઉન્માદભરી હતી.

નારદે કહ્યું : “ભાઈ, હું વૈકુંઠ જાઉં છું.”

પેલો માણસ કહે : “તો જરા પૂછતા આવશો કે મને મુક્તિ ક્યારે મળશે ?”

નારદ ચાલ્યા ગયા.

ઘણા સમયા પછી નારદ મુનિ પાછા એ જ રસ્તે થઈને નીકળ્યા અને જુએ તો શરીરની આસપાસ ઊધઈના રાફડાવાળો માણસ ત્યાંજ બેઠો બેઠો ધ્યાન ધરતો હતો.

નારદ મુનિને જોઈને એ માણસે પૂછ્યું : “હે નારદ ઋષિ, ભગવાનને મારા વિશે આપે પૂછ્યું હતું ?”

નારદ કહે : “જરૂર.”

માણસે આતુરતાથી પૂછ્યું : “ભગવાને શું કહ્યું ?”

નારદ બોલ્યા : “ભગવાને કહ્યું કે ‘ચાર જન્મ પછી તમારીમુક્તિ થશે’.”

આ સાંભળીને પેલો માણસ રડવા લાગ્યો અને ગદગદ કંઠે બોલ્યો : “મારા શરીરની આસપાસ ઊધઈનો મોટો રાફડો જામ્યો ત્યાં સુધી મેં ભગવાનનું ધ્યાન ધર્યું, છતાં હજુ મારે ચાર જન્મમાંથી પસાર થવાનું છે ?”

નરદ મુનિ આગળ ચાલ્યા, તો પેલો પાગલ જેવો માણસ મળ્યો. તેણે હસતાં હસતાં પૂછ્યું : “નારદ ઋષિ, તમે ભગવાનને મારા વિશે પૂછ્યું હતું કે પછી રામ તારી માયા ?”

નારદ કહે : “અરે, એ તે કંઈ ભુલાય !”

માણસે પૂછ્ય્તું : “ભગવાને કશું કહ્યું કે ?”

નારદ કહે : “આ સામે આંબલીનું ઝાડ દેખાય છે ને એની ઉપર જેટલાં પાંદડાં છે એટલા જન્મમાંથી તમારે પસાર થવાનું છે ! ત્યારબાદ તમને મુક્તિ મળશે.”

એ સાંભળીને પેલો પાગલ આનંદથી નાચવા લાગ્યો. તે બોલ્યો : “મને આટલા ટૂંકા વખતમાં મુક્તિ મળશે ? વાહ ! ભાઈ, વાહ !”

ત્યાં તો એ જ વખતે આકાશવાણી સંભળાઈ : “હે વત્સ ! તું આ ઘડીથી મુક્ત છો !”

એની અખૂટ ધીરજનું એ ફળ હતું. ગમે તેટલા જન્મ સુધી એ સાધના કરવા તૈયાર હતો, કશાથી એ નિરાશ ન થયો. પહેલા માણસને માત્ર ચાર જન્મનો સમય પણ બહુ લાંબો લાગ્યો. યુગો સુધી રાહ જોવાને તત્પર પેલા બીજા માણસના જેવી શ્રદ્ધાથી જ પરમપદને પામી શકાય છે.

( સ્વામી વિવેકાનંદ)

Share

કોઈ ચાર્જ નહીં – સં. સંજીવ શાહ

.

અમારો નાનકડો દીકરો તેની મમ્મી પાસે આવ્યો અને મમ્મીના હાથમાં એક કાગળ પકડાવ્યું. મમ્મીએ હાથ લૂછી કાગળ વાંચવા લીધો. કાગળમાં આમ લખ્યું હતું.

 .

મારો કમરો સાફ કરવા માટે  -  રૂ. ૦૫=૦૦

નાની બહેનની કાળજી રાખવા માટે  -  રૂ. ૧૦=૦૦

ખરીદી માટે સાથે જવા  -  રૂ. ૦૨=૦૦

કચરો ફેંકવા બહાર જવા  –   રૂ. ૦૦=૫૦

સારા ગુણ મેળવવા મહેનત કરી  -  રૂ. ૧૦=૦૦

શાક સમારવાની મહેનત  -  રૂ. ૦૦=૨૫

કુલ ચાર્જ  -  રૂ. ૨૭=૭૫

 .

મમ્મીએ દીકરા સામે મીઠ્ઠી નજરે જોયું. પછી તેણે કાગળ ઊંધો કરી પેનથી તેના પર લખ્યું.

 .

નવ મહિના મેં તને મારા પેટમાં ઉછેર્યો  -  કોઈ ચાર્જ નહીં.

તારી સાથે બેઠી, તારી કાળજી રાખી, માવજત કરી  -  કોઈ ચાર્જ નહીં.

આટલાં વર્ષો દરમ્યાન તારી પાછળ જે પણ આંસુ વહાવ્યાં  -  કોઈ ચાર્જ નહીં.

રાતોની રાતો તારી પાછળ ઉજાગરા કર્યા  -  કોઈ ચાર્જ નહીં.

તને ખોરાક, કપડાં, રમકડાં આપ્યાં  -  કોઈ ચાર્જ નહીં.

અને આવા બધાનો કુલ સરવાળો  -  ખૂબ જ પ્રેમ, કોઈ ચાર્જ નહીં.

 .

દીકરાએ મમ્મીનું આ લખાણ વાંચવું પૂરું કર્યું, અને તેની આંખમાં મોટાં આંસુ આવી ગયા. મમ્મી સામે જોઈને એણે કહ્યું, “મમ્મી,તું ખરેખર કેટલી સરસ છે !” અને પછી પોતાનો કાગળ હાથમાં લઈ મોટા અક્ષરથી એણે લખ્યું – “બધુંજ ચૂકવાઈ ગયું છે – પૂરેપૂરું અને આગોતરું જ !”

 .

( સંકલન : સંજીવ શાહ )

Share

ઝંખના – પલ્લવી શાહ

.

જ્યારે જ્યારે તું મને સ્વપ્નમાં આવે છે ત્યારે ત્યારે મને આ દુનિયા આખી બદલાઈ ગયેલી લાગે છે. ક્યારેક મારી આંખ ભરાઈ આવે તો ક્યારેક મારું મસ્તક તને નમી પડે છે તો ક્યારેક હું મારી સુધબુધ ખોઈ બેસું છું. આ ઝાડ, પાન, આકાશ, સમુંદર, ધરતી, પશુ-પંખી, આબાલ વૃદ્ધ બધા જાણે મને હસતા લાગે છે. મારી આજુબાજુના બધાં દુ:ખ ભૂલીને હું ખૂબ ખુશખુશાલ થઈ જાઉં છું અને જેટલી હું ખુશ થાઉં છું એટલી તને મેળવવાની, તારામાં સમાઈ જવાની પ્યાસ મારામાં વધતી જ જાય છે. મારો તારા પ્રત્યેનો પ્રેમ વધતો જ જાય છે. ને મારી આંખો ભરાઈ આવે છે. એ મારા આંસુ સાથે વારંવાર તને એક જ વિનંતી કર્યા કરું છું કે ક્યારેક ભૂલથી પણ હું રસ્તો ભૂલું તો મને ઉદાર દિલે માફી આપી મારી સાથે ને સાથે, મારી પાસે ને પાસે રહેજે. મારો સાથ તું કદી પણ છોડતો નહિ. મને સાચો રસ્તો બતાવી મારો રાહદારી બનજે, બનીશ ને ?

 .

હું તને કેટલો પ્રેમ કરું છું તેની તને ખબર છે ? ક્યારેક મને ઈચ્છા થાય છે કે તારી માતા બની મારું ધાવણ તને અર્પૂ, તને ખૂબ વહાલ કરું, તારા માથા પર, તારા શરીર પર હેતનો વરસાદ વરસાવું, તને નવરાવું, સરસ વસ્ત્રાલંકાર પહેરાવું, તને સજાવું, તો ક્યારેક મને થાય છે કે હું તારી દીકરી થઈ જાઉં, તું મને ખૂબ વહાલ કરે, મારે માથે હાથ ફેરવી મને પરમ શાંતિનો અનુભવ કરાવે તો ક્યારેક મને થાય છે કે હું તારી બહેન બની તને રાખડી બાંધુ, તારી છાતીમાં મ્હોં છુપાવી મારા સુખદુ:ખની વાત કરું. તું મારી સમક્ષ રહે અને પળે પળે તારી આંખોમાંથી વ્હાલપનું ઝરણું મારી સમક્ષ વહેતું રહે. તું મને કયા સ્વરૂપે સ્વીકારીશ ?

.

( પલ્લવી શાહ )

.

 

Share
Powered By Indic IME