Tag Archives: દ્રષ્ટાંત

દસમો ખોવાયો છે – સ્વામિની સદ્દવિદ્યાનંદાજી

[વેદાંત શ્રવણ દરમ્યાન કેટલાક દ્રષ્ટાંતો મને બહુ જ પ્રિય થઈ પડ્યા હતા. જેમાંથી એક છે “દસમો ખોવાયો છે”. આ દ્રષ્ટાંતનું આલેખન કરી આપવા પૂ. સ્વામિનીજીને હું ઘણાં સમયથી કહ્યા કરતી હતી. પણ શક્ય ન્હોતું બનતું. હમણાં ફરી મને યાદ આવ્યું તો મેં પૂ. સ્વામિનીજી પાસે ઉઘરાણી કરી. અને તેમણે તેમના અમેરિકાના પ્રવાસમાં સત્સંગની વ્યસ્તતા હોવા છતાં તરત લખીને મોકલ્યું. જે આજે હું અહીં પ્રસ્તુત કરું છું.]

.

.

ઘણાં વર્ષો પહેલાંની વાત છે. જંગલમાં નદી કિનારે એક મહાત્મા સ્વામી પરમાનંદજી રહેતા હતા. તેમના આશ્રમમાં વેદપાઠશાળા હતી. વેદપાઠશાળામાં દસ બાળકો વેદાધ્યયન કરતા હતા. તેઓ ત્યાં આશ્રમમાં જ રહીને અંતેવાસી તરીકે શાસ્ત્ર અધ્યયન કરી રહ્યા હતા.

 .

આજકાલ જેવી રીતે શનિ-રવિ રજાના દિવસો હોય છે એવી જ રીતે શાસ્ત્રના અધ્યયન માટે કેટલાક દિવસોને અનધ્યયન દિવસ ગણવામાં આવતા હતા. જેવા કે અમાસ, પડવો, તેરસ વગેરે દિવસોને અધ્યયન માટે અયોગ્ય ગણવામાં આવતા હતા. વેદપાઠની સાથે સાથે દરેક શિષ્યને તેની આવડત અનુસાર આશ્રમમાં કેટલીક સેવાઓ કે જવાબદારીઓ સોંપવામાં આવી હતી. સૌ શિષ્યો આનંદથી અધ્યયન કરતા હતા અને સેવાકાર્ય પણ કરતા હતા.

 .

એક દિવસની વાત છે. તે દિવસ અનધ્યયન દિવસ હતો અને સવારની બધી જ સેવાઓમાંથી શિષ્યો નિવૃત્ત થઈ ગયા હતા. આશ્રમ નદી કિનારે હતો છતાં હજી સુધી આ બાળકોને સામે કિનારેનો જંગલપ્રદેશ જોવાની તક મળી ન હતી. એક બાળકના મનમાં વિચાર આવ્યો અને તેણે તરત જ વિચાર બધાની સામે રજૂ કર્યો “ચાલો ! આપણે સામે કિઅનરે જંગલ જોવા જઈએ !”  અન્ય સર્વ બાળકોએ સહર્ષ તેની વાત સ્વીકારી લીધી. પરંતુ ગુરુજી પાસે જઈને કોણ રજૂઆત કરે ?

 .

બધા જ બાળકો ગુરુજી પાસે ગયા. બધામાં જે એક વયમાં મોટો હતો તેણે નમ્રતાથી ગુરુજી પાસે રજૂઆત કરી. ગુરુજીને પણ થયું કે ભલેને બાળકો જંગલમાં ફરવા જતા. તેમણે પરવાનગી આપી તેથી બધાં બાળકો પ્રસન્ન થઈ ગયા. પણ ગુરુજીએ સૌથી મોટા શિષ્ય દેવદત્તને કહ્યું, “તું વયમાં બધાથી મોટો છે. તેથી અન્ય સર્વેની સંભાળ લેજે. તમે દસે દસ પાછા હેમખેમ આવજો.” દેવદત્તે કહ્યું, “ભલે ગુરુજી ! બધાનું ધ્યાન હું રાખીશ અને દસે જણ હેમખેમ પાછા આવીશું.”

 .

બધા બાળકો આનંદકિલ્લોલ કરવા લાગ્યા. સર્વ તૈયારી કરીને સૌ નીકળી પડ્યા. રજાનો દિવસ એટલે મજાનો દિવસ. સૌ બાળકો મસ્તી કરતા રમતાકૂદતા નદી કિનારે પહોંચ્યા. નદીને સામે કિનારે જવાનું હતું. સૌ તરવાનું જાણતા જ હતા. પણ કોઈ ઉતાવળ તો હતી નહીં. સૌ પાણીમાં રમવા લાગ્યા. કોઈએ ડૂબકી મારી, કોઈ જમણી બાજુ ગયું, કોઈ ડાબી બાજુ ગયું. આમ નદીમાં થોડો વખત રમીને, મસ્તી કરીને વારાફરતી બહાર નીકળવા લાગ્યા. દેવદત્ત થોડો ગંભીર હતો. ગુરુજીએ જવાબદારી સોંપી હતી ને ! તે સૌ પ્રથમ બહાર નીકળ્યો અને બહાર ઊભા રહીને જેમ જેમ અન્ય બાળકો નીકળતા ગયા તેમ તેમ ગણતરી કરવા લાગ્યો. એક બે ત્રણ….નવ. “અરે ! અમે તો દસ જણા હતા નવ જ કેમ ? દસમો ક્યાં ગયો ?” એણે ફરીથી ગણતરી કરી. નવ જ !

 .

એણે એના અન્ય સહાધ્યાયીને ગણવાનું કહ્યું, “તું ગણતરી કર.”  તેણે ગણ્યા તો પણ નવ જ ! બસ બધાના મનમાં નક્કી થઈ ગયું દસમો ખોવાયો છે. એકવાર મનમાં નિશ્ચય થઈ ગયો કે દસમો અહીં નથી, ખોવાઈ ગયો છે પછી તો તેની શોધખોળ શરૂ થઈ. કોઈ પાછું પાણીમાં કૂદ્યું, કોઈ આગળપાછળ ફરીને જોવા લાગ્યું, કોઈએ જોરથી રડવા માંડ્યું. એકે રડવાનું શરૂ કર્યું એટલે બાકીના બધા પણ રડવા લાગ્યા. હવે ફરવા જવાની મજા બગડી ગઈ. અને આશ્રમમાં પાછા કેમ ફરવું, ગુરુજીને શું જવાબ આપીશું એ ચિંતામાં બધા પડી ગયા. અને બધા જ ત્યાં ને ત્યાં બેસીને રડવા લાગ્યા.

 .

આ મનુષ્ય મનની વિશેષતા છે કે એક વાર એક વિચાર મનમાં અટકી પડ્યો પછી મન બીજી રીતે વિચારવા તૈયાર થતું નથી. તે અન્ય પ્રકારે વિચારવાનું જ બંધ કરી દે છે. કારણ કે નિર્ણય થઈ ગયો છે કે દસમો ખોવાયો છે.

.

કોઈને સમજમાં ન આવ્યું શું કરવું. એજ વખતે એમના ગુરુજીના સહાધ્યાયી મહાત્મા આશ્રમ તરફ આવી રહ્યા હતા. તેમણે દૂરથી બાળકોનો રડવાનો અવાજ સાંભળ્યો અને વિચારવા લાગ્યા કે અત્યારે જંગલમાં કોણ રડી રહ્યું છે ? આ તો બાળકોના રડવાનો અવાજ લાગે છે. તરત તેઓ એ દિશામાં ઝડપથી જવા લાગ્યા. ત્યાં નદીકિનારે પહોંચીને જોયું તો ‘દસ’ બાળકો જમીન પર બેસીને રડી રહ્યા હતા. જેવા નજીક પહોંચ્યા કે તેઓ ઓળખી ગયા કે આ તો તેમના જ સહાધ્યાયી સ્વામી પરમાનંદના શિષ્યો છે. તેમની પાસે જઈને પ્રેમથી પૂછ્યું, “શું થયું તમે અહીં શું કરી રહ્યા છો ?  તમે કેમ રડો છો ?” ત્યારે દેવદત્તે કહ્યું કે “અમે દસ શિષ્ય આશ્રમમાંથી જંગલમાં ફરવા માટે નીકળ્યા હતા. પરંતુ નદી પાર કરવામાં અમારામાંથી એક ખોવાઈ ગયો છે. અમે ગણતરી કરી તો નવ જ થાય છે. અમે દસ હતા. દસમો ખોવાઈ ગયો છે.”

 .

મહાત્માજી તરત જ સમસ્યા સમજી ગયા. બધાના મનમાં એક જ વાત નિશ્ચિત થઈ ગઈ હતી કે દસમો ખોવાયો છે. તેથી મહાત્માએ તેમને સાંત્વના આપતા પ્રેમથી કહ્યું, “દસમો અહીં જ છે. તમે ચિંતા ન કરો. હું તમને મદદ કરીશ.” આટલું સાંભળીને બધાએ રડવાનું બંધ કરીને એક અવાજે પૂછ્યું, “ખરેખર ? દસમો અહીં જ છે ? તમે અમને મદદ કરશો ?” “જરૂરથી”.

 .

મહાત્માએ સૌને એક કતારમાં ઊભા રહેવા જણાવ્યું. દેવદત્તને પોતાની પાસે બોલાવીને કહ્યું, “તું ગણતરી કર.” દેવદત્તે ગણતરી કરી. એક, બે, ત્રણ….નવ. જૂઓ નવ જ છે.” તરત જ મહાત્માએ કહ્યું, “તું દસમો છે !”. તરત જ તે બોલ્યો, “ઓહ ! દસમો મળી ગયો. “હું દસમો છું”.

.

શું ખરેખર દસમો મળી ગયો ? શું ખરેખર દસમો ખોવાયો હતો ? દેશ કાળમાં દસમો દૂર હતો ? ત્યાં કેટલા દસમો હતા ? દસે દસ જણ દસમો હતા. કારણ કે જે દસમાને શોધી રહ્યો હતો તે સ્વયં જ દસમો હતો. જે વિચારતો હતો કે દસમો ખોવાઈ ગયો હતો તે જ દસમો હતો. આમ દસમો જ દસમાને શોધી રહ્યો હતો. શોધવાવાળો અને શોધવાનો વિષય બંને એક જ હતા.

 .

એ જ રીતે જીવનમાં આપણે સૌ અનંત સુખ, શાંતિ અને અભયતા શોધી રહ્યા છે. પરંતુ અનંતનો અર્થ જ થાય કે તેમાં તમારો ઉમેરો થઈ ગયો. તમારાથી અલગ, ભિન્ન રહીને તે અનંત ન હોઈ શકે. સૌ કોઈ જાણે છે, “હું છું અને હું ચૈતન્ય છું.” સત, અસ્તિત્વ અને ચિત, ચૈતન્ય તો સૌને ખબર છે. સૌ બાળકો પણ જાણતા હતા કે તેઓ છે અને તેઓ ચૈતન્ય છે. પરંતુ “હું દસમો છું” તે જાણતા ન હતા. એ જ રીતે “હું છું અને હું ચૈતન્ય છું” એ સૌ કોઈ જાણે છે. કોઈને તે કહેવાની જરૂર નથી. છતાં “હું બ્રહ્મ છું, અનંત છું, પૂર્ણ છું” તે કોઈ જાણતું નથી. આમ શોધનાર અને શોધનો વિષય બંને એક જ છે. સાધક સાધ્ય બંને કે જ છે. દસમો જ દસમાને શોધી રહ્યો હતો એ જ રીતે સુખસ્વરૂપ સ્વયં પોતાને શોધી રહ્યો છે. કેમ ? શા માટે ? કારણ કે પોતાને સુખસ્વરૂપ ઓળખતો નથી.

 .

જેવી રીતે એકવાર મનમાં નિશ્ચય થઈ ગયો કે દસમો ખોવાયો છે, અહીં અત્યારે દસમો નથી પછી તો એની શોધ શરૂ થઈ જાય છે. એ જ રીતે મનુષ્યે એકવાર નિશ્ચય કરી લીધો છે કે તે દુ:ખી છે, સંસારી છે, જન્મ-મરણવાળો છે પછી તે પોતાને શોકગ્રસ્ત જ જૂએ છે. તે પોતાને અલ્પ, તુચ્છ માને છે.

 .

જેવી રીતે દસમાની શોધ માટે “અન્યબુદ્ધિ”, અન્ય ઉપદેશકની આવશ્યકતા છે એ જ રીતે પોતાના સાચા સ્વરૂપની ઓળખ માટે પણ સદ્દગુરુની આવશ્યકતા છે. તેથી ગીતામાં ભગવાને ચોથા અધ્યાયમાં કહ્યું કે “તું જ્ઞાનીને શરણે જા, તેમને પ્રણામ કર અને તેમની પાસે જ્ઞાન પ્રાપ્ત કર. તેમને પ્રશ્ન પૂછ. તે તને ઉપદેશ કરશે.” આમ સદ્દગુરુના ઉપદેશના શ્રવણથી જ પોતાના સાચા સ્વરૂપની ઓળખ થાય છે. સદ્દગુરુ પાસે શાસ્ત્રશ્રવણથી જ આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ જ્ઞાન થાય છે. પરંતુ દસમાનું દ્રષ્ટાંત ઘણું સરળ છે. શાસ્ત્રશ્રવણ પછી પણ પોતે અનંત, પૂર્ણ સુખસ્વરૂપ, આનંદસ્વરૂપ છે એ સ્પષ્ટ થતું નથી. કારણ કે જન્મોજનમથી, અનાદિકાળથી આપણે પોતાને દુ:ખી, અલ્પ, જન્મ-મરણવાળા માનીએ છીએ. તેથી સતત શાસ્ત્રશ્રવણથી જરૂર છે. શ્રવણ કર્યા પછી તેના પર મનન કરી સંશય, શંકાની નિવૃત્તિ જરૂરી છે. અને સ્પષ્ટ થયા પછી પોતાને અલ્પ માનવાની, દેહ માનવાની આદત પડી ગઈ છે તેથી નિદિધ્યાસનની પણ એટલી જ આવશ્યકતા છે. એકવાર સ્પષ્ટ, દ્રઢજ્ઞાન થઈ ગયું પછી વ્યક્તિ મુક્ત છે.

 .

( સ્વામિની સદ્દવિદ્યાનંદાજી )