Tag Archives: પન્ના નાયક

મારું એકાંત – પન્ના નાયક

panna_naik_pic1

.

મને ગમે છે

મારું એકાંત.

 .

ઘોંઘાટ શમી ગયો હોય છે,

ચિત્ત શાંત થયું હોય છે,

પછી

મારી મારે માટેની શોધ

આરંભાતી હોય છે,

 .

અને

કાવ્યની પ્રથમ પંક્તિ

રૂમઝૂમ કરતી આવતી હોય છે

મારી પાસે,

 .

અને

હરજી હળવે હળવે

મૂકતા હોય છે હાથ

મારે ખભે…

.

( પન્ના નાયક )

લેડી વિથ અ ડોટ – પન્ના નાયક

[ પન્ના નાયકનું નામ આવે એટલે અછાંદાસ કાવ્યો યાદ આવે. જો કે તેમણે કાવ્યના અન્ય પ્રકારો ગીતો, હાઈકુ, છંદોબદ્ધ કાવ્યો વગેરે પર પણ હાથ અજમાવ્યો છે. પણ સૌથી વધુ સર્જન તો અછાંદાસ કાવ્યોનું જ કર્યું છે. રજનીભાઈએ એમની એક પોસ્ટ અંગે વાત કરતાં મને પૂછ્યું હતું કે સુન્દરમે નવલિકાઓ પણ લખી છે એ તમને ખબર છે ? ત્યારે જાણીને મને થોડું આશ્ચર્ય થયું હતું. કારણ કે સુન્દરમનો વધુ પરિચય આપણને કવિ તરીકેનો જ છે. આવું જ આશ્ચર્ય મને પન્ના નાયકે નવલિકાઓ પણ લખી છે એ જાણીને થયું. હજુ મેં એમની એક જ નવલિકા વાંચી છે. પણ વાંચીને ગમી તો વાચકો સાથે વહેંચવાનું મને મન થયું. એમાં પન્નાબહેને મારી સાઈટ પર મૂકવાની સંમતિ આપી તો સોનામાં સુગંધ ભળવા જેવું થયું. આશા રાખું છું કે વાચકોને ગમશે.]

.

.

.

.

.

.

હરિવર સાથે હેત – પન્ના નાયક

.

હરિવર સાથે હેત

ખુલ્લેખુલ્લું કહી દઉં છું કે ખપે નહીં સંકેત.

 .

છાનુંછપનું શાને કરવું ? ક્યાં કરીએ છીએ ચોરી ?

રાધાશ્યામના પ્રેમની ઉપર કોની છે શિરજોરી ?

હું શ્યામની કુંજગલી છું : મીરાંબાઈનો ભેખ.

 હરિવર સાથે હેત.

 .

સાંવરિયાના સૂરની સાથે

હોય અમારો નાતો,

શ્યામની સાથે હોય સદાયે

શરદપૂનમની રાતો.

સૃષ્ટિ આખી તન્વી  શ્યામા: ‘કૃષ્ણપુરુષ છે એક’.

હરિવર સાથે હેત.

 .

( પન્ના નાયક )

વણપુછાયેલા પ્રશ્નનો જવાબ

ક્યારેક

કોઈક વરસને વચલે દહાડે

એ મારે ત્યાં આવે

અને

અદબ જાળવીને

મને શબ્દોથી કશું પૂછે નહીં

પણ

એની આંખના પ્રશ્નને ઉકેલતા

મને વાર નથી લાગતી.

પ્રમાણમાં વિશાળ ઘરમાં

હું

સાવ એકલી કઈ રીતે રહી શકું છું

એવો પ્રશ્ન

પૂછ્યા વિના પુછાય છે.

જે પ્રશ્ન

પૂછ્યા વિના પુછાયો હોય

એનો ઉત્તર

હું એમને આપતી નથી

પણ

મારા મનમાં

તો

મારી સાથે

એક સંવાદ ચાલ્યા કરે છે.

.

એકલતાને તો મેં હડસેલી દીધી છે

હજાર હજાર માઈલ દૂર.

મને દીવાલો સાથે વાત કરતાં આવડે છે.

મારા બગીચાનાં ઝાડપાન સાથે

હું ગોષ્ઠી કરી શકું છું

અને

ફ્લાવરવાઝના ફૂલો સાથે પણ

અનુભવી શકું છું આત્મીયતા.

તમે જેને એકલતા કહો છો

એને હું મારું એકાંત કહું છું.

.

હું

છલોછલ અનુભવું છું

મારા એકાંતની સમૃદ્ધિ.

ઘર નાનું હોય કે મોટું હોય

માણસો ઓછા હોય કે વધારે હોય-

સાચું કહો,

તમે

આ બધાંની વચ્ચે

એકલતા નથી અનુભવતા ?

અથવા

તમે તમને જ પૂછી લો

કે

આ બધાની વચ્ચે

તમને તમારું

ગમતું એકાંત મળે છે ખરું ?

માણસો સાથે રહે છે-

કદાચ છૂટા પડી શકતા નહીં હોય એટલે ?

હું માનું છું

કે

બહુ ઓછા માણસો

સાચા અર્થમાં

સાથે જીવતા હોય છે

જીવી શકતા હોય છે.

દીવાલોના રંગ ઊપટી ગયા હોય એવા

થઈ ગયા હોય છે સંબંધો.

એક માણસ બીજા માણસથી ડરી ડરીને

ચાલે છે

એક માણસ બીજા માણસને છેતરી છેતરીને

જીવે છે-

જીવવાનું છળકપટની દુનિયામાં !

સુખી છીએ એવો દેખાવ કરવામાં જ

ઉઘાડુ પડી જાય છે

આપણું દુ:ખ.

.

ક્યાંય કોઈ અખંડ પોત નહીં

ક્યાંય કોઈ અખંડ જ્યોત નહીં

કટકે કટકે જીવતા જીવતા

કટકે કટકે મરવાનું.

.

મળવાનો દેખાવ કરીને નહીં મળવાનું.

કોઈ વિરાટ પ્રદર્શનમાં ગોઠવાયેલી

અનેક ચીજ હોય એવી રીતે

સંબંધ નામની અનેકમુખી ચીજને

અતૃપ્તિ સાથે જોયા કરવાનું.

.

સાથે રહીને એકલા પડવા કરતાં

એકલા રહીને સાથે જીવવાનો આનંદ

મને તો છલકાતો દેખાય છે

મારા ખાલીખમ (?) ઘરમાં…

.

( પન્ના નાયક )