Tag Archives: મૃત્યુ

મૃત્યુ – ખલિલ જિબ્રાન

Khalil Gibran

.

ત્યાર પછી મિત્રા બોલી, હવે અમે આપને મૃત્યુ વિશે પૂછીએ છીએ.

 .

ત્યારે તેમણે કહ્યું :

 .

તમારે મૃત્યુનું રહસ્ય જાણવું છે.

 .

પણ તમે તેને કેવી રીતે જાણશો, જો તમે તેને જીવનના મધ્યમાં જ ન ખોળો તો ?

 .

દિવસ પ્રત્યે આંધળું થયેલું નિશાચર ઘુવડ તેજેનું રહસ્ય ઉકેલી શકે નહીં.

 .

જો તમે સાચે જ મૃત્યુના આત્માને જોવા ઈચ્છતા હો, તો તમારા હૃદયને જીવનના શરીર સામે ખુલ્લું મૂકી દો.

 .

કેમ કે જીવન અને મૃત્યુ એક જ છે, – જેમ નદી અને સમુદ્ર એક જ છે તેમ.

 .

તમારી આશાઓ અને ઈચ્છાઓના મૂળમાં જ તમારું મૃત્યુ પાર વિશેનું જ્ઞાન છુપાઈને રહ્યું છે;

 .

અને બરફની નીચે ઢંકાઈ રહેલા બીજની જેમ તમારું હૃદય વસંતના સ્વપ્ન જુએ છે.

 .

એ સ્વપ્નોમાં શ્રદ્ધા રાખો, કારણ કે તેમાં જ અમરતાનો દરવાજો છુપાયેલો છે.

 .

તમારો મરણનો ભય પેલા ભરવાડની બીક જેવો છે : જે, રાજા એને સ્વહસ્તે માન આપનાર છે એમ જાણતાં છતાં, એની સામે ઊભો થતાં ધ્રુજે છે.

 .

પણ એની ધ્રુજારીની નીચે – રાજાનો અનુગ્રહ થવાનો છે એનો હર્ષ જ રહેલો નથી કે ?

 .

છતાં પોતાની ધ્રુજારીને જ વધારે મહત્વ નથી આપતો કે ?

 .

કારણ, મરવું એટલે પવનમાં ખુલ્લાં પડવું અને સૂર્યના તાપમાં ઓગળવું એ સિવાય બીજું શું ?

 .

અને શ્વાસ લેતાં અટકવું એટલે પ્રાણને સતત ચડઊતર થવાના કર્મમાંથી મુક્ત કરીને નિરુપાધિકપણે ઈશ્વર શોધવા માટે ઊંચે ચડવા અને ફેલાવા દેવો એ સિવાય બીજું શું ?

 .

મૌનની નદીનાં જળ પીને જ તમે ગાવાની શક્તિ મેળવી શકો.

 .

અને પર્વતને શિખરે પહોંચ્યા બાદ જ તમે ચડવા માંડી શકો.

 .

અને જ્યારે પૃથ્વી તમારા અવયવો પોતાનામાં સમાવી દેશે, ત્યારે જ તમે સાચું નૃત્ય નાચી શકશો.

.

( ખલિલ જિબ્રાન, અનુ. કિશોરલાલ મશરૂવાળા )

.

આ પોસ્ટ અંગ્રેજીમાં વાંચવા અહીં ક્લિક કરો.

મરવું

.

કોઈએ કહ્યું છે :

માણસ જન્મે ત્યારે તેનું લગ્ન પણ નક્કી થઈ જાય છે

મરણ સાથે.

આમ કહેનારનો સંકેત મરણની સુંદરતા તરફ હશે ?

કે લગ્નની ભયંકરતા તરફ ?

.

‘મરવું’માંથી વાસ આવે છે

બાકસમાં પુરાયેલા કાનખજૂરિયાની,

કોહવાતા લાકડાની,

મરઘાના ખાતરની,

વરસોથી ન ખૂલેલા, હવડ હવાબારી વગરના

સંબંધની,

લોટામાં ચાર પાન મૂકો સાહે…બ, કાંઠલે દોરો બાંધો,

હવે શ્રીફળ પધરાવો. ચાર બાજુએ ચાર ચાંદલા કરો,

અક્ષત લગાડો, હાથમાં ઊંચકીને ત્રણ વખત માથે અડાડો,

કુંભે વરુણમાવાહયામિ સ્થાપયા… મિ….’ની વાસ આવે છે

‘મરવું’માંથી.

.

કૂંપળમાંથી કોલસો

વ્હેલમાંથી તેલ

-કેવા કેવા વેશ કાઢે છે, આ ‘મરવું’

.

ફ્રાન્સવાળાઓએ કાચી કુમળી વયે બાંધીને બાળ્યું,

પારધીવાળાઓએ અંગૂઠે વીંધ્યું,

ગ્રીસવાળાઓએ પ્યાલી પાઈ,

યહૂદીવાળાઓએ ખિલ્લે ઠોક્યું.

.

(ઉદયન ઠક્કર)