કંઠમાં કાળી તરસનું ગાન પામેલા અમે,
કંટકોના હારનું સન્માન પામેલા અમે !
.
જન્મના ઝભલાની સાથોસાથ પહેરેલું કફન;
અવતરણ સાથે જ બસ અવસાન પામેલા અમે !
.
પર્ણની મર્મર કે પંખીના ટહુકા માણવા –
સાવ ડઠ્ઠર, પથ્થરોના કાન પામેલા અમે !
.
જિંદગીની જર્જરિત ઝોળીમાં સુખદ શ્વાસનું –
કોઈ કંજૂસની કનેથી દાન પામેલા અમે !
.
કે વસંતી વાયરે છોડી અધૂરી વારતા –
પતઝરી લૂમાં અનુસંધાન પામેલા અમે !
.
( કરસનદાસ લુહાર )