પ્રાર્થના – સુરેશ દલાલ

એક વાત તો નક્કી છે – કે આપણે બન્ને જુદા છીએ. તું ભગવાન અને હું ભક્ત. હું આત્મા અને તું પરમાત્મા. તું જેટલો અમારી બહાર છે એટલો જ કદાચ અમારી ભીતર પણ છે. આ બહાર-ભીતરની ઘટના આછી આછી સમજાય છે પણ પૂર્ણપણે પામી શકાતી નથી. આપણે જુદા છીએ એટલે તો એક થવાની વાત કરું છું. આપણે એક કેવી રીતે થઈ શકીએ એ જ મારા ચિંતન, મનનનો પ્રશ્ન છે. તારા સરોવરમાં મારે કમળ થઈને ઊગીને મારે જલકમલવત નથી રહેવું. મારે તો કરવું છે તારા સરોવરમાં સ્નાન. જ્ઞાન નથી જોઈતું. મને તો જોઈએ છે તારામાં તરબોળ થઈ શકું એવી ભક્તિ કે જેથી કોઈ જુદાપણું કે જુદાઈ આપણી વચ્ચે રહે જ નહીં.

 .

મધરાતનો સમય છે. મેં પ્રકટાવ્યો છે એક દીવો. અંધકારનો મરજીવો હોય એમ હવે એ સળગે છે પોતાની મેળે, જીવે છે પોતાને બળે અને તારી કૃપાએ. આ દીવો – એને કોઈ નામની જરૂર હોય તો નામ પણ આપીએ. એનું નામ પ્રતીક્ષા છે. એ રાહ જોયા કરે છે – માત્ર તારી, જેથી જ્યોતમાં જ્યોત મળી જાય. એની પાસે માત્ર આટલી જ મિરાત છે અને એ જીવવા માટે પૂરતી છે. આ મિરાતના નામની પણ જરૂર હોય તો નામ પણ આપીએ. એનું નામ ધીરજ અને શ્રદ્ધા. મધરાતનો સમય છે. એની જ્યોતમાંથી જ પ્રકટ થશે એક સુવર્ણમય સૂરજ. તું સૂરજ અને હું સૂરજમુખી.

 .

( સુરેશ દલાલ )

Share this

6 replies on “પ્રાર્થના – સુરેશ દલાલ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.